Ahmedabad,તા,11
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યાં છે. સાથે જ 16મી અને 17મી સપ્ટેમ્બરના ઈદ અને ગણેશોત્સવનું સમાપન હોવાથી શહેરના તમામ પી.આઈ.ને રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવા સૂચના અપાઈ હતી. છતાં પોલીસ કમિશનરની સુચના અવગણીનો સેક્ટર-1ના સાત પી.આઈ. રાત્રે 12 વાગ્યે ઘરે મળતાં કાર્યવાહીની તૈયારી આરંભાઈ છે. કન્ટ્રોલ રૂમ દ્વારા લોકેશન લેવામાં આવતાં આ ઘટસ્ફોટ થયો છે. પણ, સેક્ટર-2ના પી.આઈ.ના લોકેશન નહીં લેવાયાંનો પણ પોલીસ ઈન્સ્પેક્ટરોમાં આંતરિક કચવાટ છે.
રાત્રે 12 વાગ્યા સુધી પી.આઈ.ને પોલીસ સ્ટેશન નહીં છોડવા આદેશ
સુરતમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા પછી આગજનની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં 627 પોલીસ સ્ટેશનોમાં પી.આઈ.ઓએ 16મી સપ્ટેમ્બરના ઈદ અને 17મી સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન ન થાય ત્યાં સુધી રાત્રે 12 પહેલાં પોલીસ સ્ટેશન ન છોડવા અને ઘરે જ જવાના આદેશ ડીજીપી દ્વારા કરાયાં હતાં. અમદાવાદમાં પોલીસ કમિશનરે પણ આ સૂચનાનું કડક પાલન કરવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં બોડીવોર્ન કેમેરા અને ડ્રોનથી નજર રાખવા સોમવારે જ તાકીદ કરતો આદેશ બહાર પાડયો હતો.
આ સાત PI ઘરભેગાં થયા હતા
પોલીસ કમિશનરના આદેશ અનુસાર, શહેરના મામ એસીપી અને પી.આઈ. એ રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશન છોડવું નહીં. પરંતુ રાત્રે 12 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા રાત્રે 12 વાગ્યે અમદાવાદના સેક્ટર-1 એટલે કે પશ્ચિમ અને કોટ વિસ્તારના પી.આઈ.ઓના લોકેશન લેવાયાં હતાં. આ દરમિયાન બોડકદેવના પી.આઈ. આર. વી. વિંછી, સોલાના એન બી બારોટ, આનંદનગરના બી.કે. ભારાઈ, નારણપુરાના વી. જે. ચાવડા, નવરંગપુરાના એ.એ. દેસાઈ, ચાંદખેડાના એન. એસ. ખોખર અને શહેરકોટડા પીઆઈ પી. વી. ગોસાઈના લોકેશન રાતે 12 વાગ્યે તેમના ઘરે હોવાના મળતાં પોલીસ કમિશનરને આજે રિપોર્ટ કરાયો છે.
બીજી તરફ એવો આંતરિક કચવાટ છે કે સોમવારે રાત્રે સેક્ટર-1ના 27 અને ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશનોના પી.આઈ.ના લોકેશન લેવાયાં હતાં. પરંતુ, સેવેદનશીલ પોલીસ સ્ટેશનોની સંખ્યા વધુ છે તેવા સેક્ટર- 2ના પોલીસ સ્ટેશનોના લોકેશન લેવાયાં નહોતાં. હવે પોલીસ કમિશનર શું કાર્યવાહી કરે છે તેની ચર્ચા જાગી છે.