Ahmedabad,તા.03
ગુજરાતમાં એક તરફ આઈપીએસ અધિકારીઓની ઘટ છે, ત્યારે બીજી બાજુ ગુજરાત સરકારમાંથી 21 આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવ્યા છે. રાજ્ય સરકાર એટલી હિંમત નથી કે, કેન્દ્ર સરકારને આ અધિકારીઓને પાછા મોકલવાનું કહે, તેની કિંમત ગુજરાતની પ્રજા ચૂકવી રહી છે.
આ પૈકીના કેટલાક અધિકારીઓ અનુભવી અને ગુજરાતને સમજનારા હતા. તેમને કેન્દ્રમાં લઈ જઈને સામાન્ય હોદા આપીને વેડફવામાં આવી રહ્યા હોવાનો મત પણ ઘણાં આઈપીએસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. આઈપીએસ અધિકારીઓનું માનવું છે કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ પર પોતાનું વર્ચસ્વ જળવાય એ હેતુથી ભાજપ હાઈકમાન્ડ ગુજરાતના આઈપીએસ અધિકારીઓને ઉપયોગ કરીને તેમની શક્તિઓને વેડફી રહી છે.સમશેરસિંહ, મનોજ શશીધરન, હિમાંશુ શુક્લા, દીપેન ભદ્રન, શોભા ભુતડા, વી.ચંદ્રશેખર, રાજીવ રંજન ભગત સહિતના આ અધિકારીઓને ગુજરાતમાં સારું કામ કરી શકે પણ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર લઈ જઈને તેમની આવડત, કુનેહ અને હોશિયારીનો પૂરતો લાભ નથી લેવાઈ રહ્યો. ગુજરાતમાંથી કેન્દ્રમાં ડેપ્યુટીશન પણ લઈ ગયેલા મોટાભાગના અધિકારીઓને સીબીઆઈ, સીઆઈએસએફ, બીએસએફ, જમ્મુ અને કાશ્મીર, ઈન્ટેલિજન્સ અને આર્મીના અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. લોકો વચ્ચે રહીને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વર્ષો ગાળનારા અધિકારીઓ અત્યારે ઓફિસ વર્કમાં અટવાયેલા છે.
ડો. સમશેરસિંહ 1991 બેચના હરિયાણાના આઈપીએસ અધિકારી છે. સમશેરસિંહે એસીબીના વડા તરીકે 300 કરોડ રૂપિયાના ચેકપોસ્ટ કૌભાંડનો પર્દાફાશ કરીને સરકારને બહુ મોટો ફાયદો કરાવ્યો હતો. સમશેરસિંહ ભ્રષ્ટાચારી આઈએએસ અધિકારીઓને પણ પકડ્યા હતા. મનોજ શશીધર મૂળ કેરાલાના 1994ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ 28 જૂન 2023ના રોજ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા છે. જ્યારે હિમાંશુ શુક્લા એમપીના 2005ની બેચના આઈપીએસ અધિકારી છે તેમણે બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. તે એક જાન્યુઆરી 2022થી કેન્દ્રમાં ડેપ્યુટીશન પર ગયા છે હાલ તેઓ દેશની ગુપ્તચર સંસ્થા રોમાં ફરજ બજાવી રહ્યા છે.
દીપેન ભદ્રન 2007ની બેચના કેરાલાના આઈપીએસ અધિકારી છે, તે 21મી જુલાઈ 2024થી કેન્દ્રમાં ડેપ્યુટીશન પર છે. મનોજ શશીધરન, હિમાંશુ શુક્લા અને દીપેન ભદ્રન અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ માં ફરજ બજાવી ચૂકેલા છે. આ ત્રણેય અધિકારીઓએ આતંકવાદી પ્રવૃત્તિ ડામવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ખૂંખાર ગુનેગારો તેમજ ડ્રગ્સના મોટા અને કેટલાક પાકિસ્તાનીઓને પણ પકડીને મોટા ઓપરેશન કરેલા છે.
મહિલા આઇપીએસ શોભા ભુતડા 2008ની બેચના લાતુર મહારાષ્ટ્રના આઇપીએસ અધિકારી છે, તેમણે પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરેલો છે. તે ચાર સપ્ટેમ્બર 2019થી કેન્દ્રમાં ડેપ્યુટીશન પર છે તેવો ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમણે આશારામ અને નારાયણ સાંઈને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં તેમનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો.