Ahmedabad,
પાંચ વર્ષના સમયમાં અમદાવાદમાં રોડ રીસરફેસ કરવા, નવા બનાવવા જેવી કામગીરી માટે રૃપિયા ૪૬૬૯ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. આમ છતાં સારા રોડનો અભાવ છે. રોજ કોર્પોરેશનને રોડ સંબંધી ૪૧૯ ઓનલાઈન ફરિયાદ મળે છે. આ ઉપરાંત ઓફલાઈન મળતી ફરિયાદ કેટલી આવતી હશે એની વિગત ઉપર ઢાંકપિછોડો કરાઈ રહયો છે.રોડના કામમા ભ્રષ્ટાચારી વહીવટથી પ્રજાના પૈસા વેડફાયાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષનેતાએ કર્યો છે.
વર્ષ-૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન નવા રોડ બનાવવા પાછળ રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા રૃપિયા ૨૨૮૩ કરોડ , સાત ઝોનમાંથી રુપિયા ૬૭૨ કરોડ તથા સ્વર્ણિમ યોજના અંતર્ગત રુપિયા ૧૭૧૪.૮૬ કરોડ મળી પાંચ વર્ષમાં રુપિયા ૪૬૬૯.૮૬ કરોડ જેટલી માતબર રકમ રોડ સંબંધિત કામગીરી પાછળ ખર્ચ કરાઈ છે.વરસાદની મોસમમાં છેલ્લા પાંચ વર્ષના સમયમાં રોડ ઉપર ૩૩૬ મોટા ભુવા પડયા હતા.વર્ષ-૨૦૨૪માં ચોમાસા દરમિયાન ૪૮ વોર્ડમાં આવેલા વિવિધ રસ્તાઓ ઉપર ૧૯ હજારથી વધુ ખાડા પુરવામાં આવ્યા હતા.ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ઠપકો આપવા છતાં વહીવટી તંત્ર શહેરમાં એક પણ સારો રસ્તો આપી શકતુ નથી એ શરમજનક બાબત છે.સારા રસ્તા આપવાના બદલે મોડેલ રોડ, આઈકોનિક રોડ અને સિમેન્ટ રોડ જેવા અખતરા વારંવાર કરી લોકોની હાલાકીમાં વધારો કરાતો હોવાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષનેતાએ કર્યો છે.