Dhrol તા.18
રાજકોટ જામનગર હાઈવે પર ગઈ કાલે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ નજીક જાયવા ગામ પાસે બોલેરો ચાલકે એક્ટિવાને અડફેટે એક્ટિવામાં સવાર માતા- પિતા અને પુત્રીનું મોત નિપજયું હતું. તેઓ ધ્રોલના ભેંસદળ ગામે માતાજીના દર્શન કરવા જતાં હતાં ત્યારે કાળ આંબી ગયો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામના અને હાલ વાપીના ચણોદ ગામમાં રહેતાં સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉ.વ.37) તેમની પત્ની ઈનાબેન સંજયભાઇ ચોટલિયા (ઉ.વ.36) અને તેની પુત્રી નિષ્ઠા સંજયભાઈ (ઉ.વ.4) તેઓ ત્રણેય ગઈ કાલ સવારનાં ધ્રોલના ભેંસદળ ગામે એક્ટિવામાં જતાં હતાં.
ત્યારે સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક જાયવા ગામ પાસે આવેલ આશાપુરા હોટલ સામે પહોંચતા બોલેરો ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતાં એક્ટિવામાં સવાર ત્રણેય ફંગોળાયા હતા. અને ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ પગલે લોકોનો ટોળાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન 108 ની ટીમ પહોંચી ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ સંજયભાઈ અને તેમની પત્ની ઈનાબેનનું ઘટના સ્થળે જ મોત જાહેર કર્યું હતું. જ્યારે તેમની પુત્રી નિષ્ઠાને સારવાર અર્થે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં દમ તોડી દેતાં ગમગીની છવાઈ ગઈ હતી.
બનાવ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે મૃતક સંજયભાઈ બે ભાઈ અને બે બહેનમાં મોટા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક સંજયભાઈ અને તેમની પત્ની અને પુત્રી રાજકોટ પ્રસંગે આવ્યા હતા. જ્યારે તેનો મોટો દિકરો મંથન (ઉ.વ.9) જે વાપી જ હતો. ગઈ કાલે સંજયભાઈ અને પત્ની અને પુત્રી રાજકોટથી તેમનાં મૂળ વતન ભેંસદળ ગામે માતાજીના દર્શનાર્થે જતાં હતાં.
ત્યારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અને ત્રણેયના મોત નીપજ્યા હતા. બનાવ અંગે રાજેશભાઈ મેઘજીભાઈ ચોટલિયા (ઉ.વ.52) એ બોલેરો નં- જીજે- ઝીરોત્રણ- બેત્રણબેઝીરો ના ચાલાક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.