Ahmedabad, તા.6
ગુજરાત હાઇકોર્ટે 17 વર્ષની સગીરાના અપહરણ અને ગેંગરેપના ચકચારભર્યા કેસમાં જામનગર પોલીસની ગંભીર ઉદાસીનતા અને નિષ્કાળજીને લઈને આકરો ઉધડો લીધો છે. જસ્ટિસ વિમલ કે. વ્યાસે સમયસર પોલીસ ફરિયાદ ન લેવા બદલ અને પીડિતાનું મેડિકલ એક્ઝામિનેશન ન કરાવવા બદલ ધ્રોલ પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી.
કોર્ટે અવલોકન કર્યું કે, સામૂહિક દુષ્કર્મની આ ઘટના 6 મે 2019ના રોજ બની હોવા છતાં, પોલીસે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી ન હતી. પીડિતાની માતાએ જામનગર એસપીને લેખિત રજૂઆત કર્યા બાદ પણ ધ્રોલ પોલીસે કાર્યવાહી કરી નહીં.
એટલું જ નહીં, ફરિયાદી માતા તેમના વકીલ સાથે પોલીસ મથક પહોંચીને નિવેદન આપ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ઉલટાનું, પોલીસે ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કર્યું હતું.
વારંવારની લેખિત રજૂઆતો બાદ આખરે 9 જુલાઈ 2019ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ તેમાં આરોપીઓ સામે બળાત્કારની કોઈ કલમ ઉમેરવામાં આવી ન હતી, જે અત્યંત ગંભીર બાબત છે.
મેડિકલ તપાસ ન થઈ
બનાવના ચાર વર્ષ પછી, 3 જુલાઈ 2023ના રોજ પીડિતા મળી આવી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું. પીડિતાએ તેના નિવેદનમાં સ્પષ્ટપણે નવ આરોપીઓ – માગો, કિશોર, સુનીલ, દિગો, તલો, સંજય, હસમુખ, કમલેશ અને વિજય – દ્વારા પોતાની ઈચ્છા વિરુદ્ધ બેરહમીથી દુષ્કર્મ ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે ગંભીર નોંધ લીધી કે, પીડિતાનું આ નિવેદન નોંધાયા પછી પણ પોલીસે તેને મેડિકલ એક્ઝામિનેશન કે તબીબી તપાસ માટે મોકલી ન હતી. ઉપરાંત, મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ-164 હેઠળ તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું નહોતું, અને આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ સંબંધિત કલમ ઉમેરવામાં આવી નહોતી. પોલીસની આ બેદરકારીને કોર્ટે આઘાતજનક ગણાવી છે.
એસપીને તપાસ
હાઇકોર્ટે એ પણ હકીકત નોંધી કે, આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, અને પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ન તો સમરી રિપોર્ટ ફાઇલ કર્યો છે કે ન તો ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસના રિપોર્ટમાં પણ પીડિતાના નિવેદનની સત્યતા પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સમગ્ર કેસની ચિંતાજનક અને સંવેદનશીલ હકીકતોને ધ્યાનમાં લેતા, જસ્ટિસ વિમલ કે. વ્યાસે સમગ્ર કેસની તપાસ જામનગર એસપીને સોંપવા અને આ અંગે વિગતવાર ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે.
વધુમાં, હાઇકોર્ટે જામનગર એસપીને આગામી મુદત, 17 ડિસેમ્બર 2025ના રોજ કેસની સુનાવણી દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.

