મુંબઇ,તા.૧૩
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને પત્ર લખીને દિલજીત દોસાંઝની આગામી ફિલ્મ ’સરદાર જી ૩’ નું પ્રમાણપત્ર રોકવા માટે વિનંતી કરી છે.એફડબ્લ્યુઆઇસીઇએ સીબીએફસીના ચેરમેન પ્રસૂન જોશીને ફિલ્મને પ્રમાણપત્ર ન આપવા વિનંતી કરી છે કારણ કે તેમાં પાકિસ્તાની કલાકારો હાનિયા આમિર, નાસિર ચિન્યોતી, દાનિયલ ખાવર અને સલીમ અલબેલા હોવાનો આરોપ છે. પત્રમાં લખ્યું છે કે, “ભારતીય નિર્માણમાં પાકિસ્તાની મૂળની સામગ્રી અને પાકિસ્તાની કલાકારો સાથે સહયોગ પર પ્રતિબંધ મૂકવાના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના નિર્દેશોને ધ્યાનમાં રાખીને અને એફડબ્લ્યુઆઇસીઇ દ્વારા અપનાવવામાં આવેલા સમાંતર વલણને ધ્યાનમાં રાખીને, અમે સીબીએફસી ને પ્રમાણપત્ર સાથે આગળ વધતા પહેલા આ નિર્દેશો અને રાષ્ટ્રીય હિતના વિચારણાઓ સાથે સુસંગત રહેવા વિનંતી કરીએ છીએ.”
તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સીબીએફસીની વાજબી અને કડક પ્રમાણપત્ર પ્રક્રિયાની પ્રશંસા કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે તમે આ વિનંતી પર યોગ્ય વિચારણા કરશો.” અગાઉ, ભાજપ ચિત્રપટ કામદાર આઘાડીએ પણ દિલજીત દોસાંજની ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોના સમાવેશનો વિરોધ કર્યો હતો અને સીબીએફસીને ભારતમાં ફિલ્મ રિલીઝ ન કરવાની માંગ કરી હતી. સંઘે એક નિવેદનમાં કહ્યું હતું કે, “અમે કોઈપણ પાકિસ્તાની કલાકારના ભારતીય સિનેમા સાથે જોડાણનો સખત વિરોધ કરીએ છીએ. ભાજપ ચિત્રપટ કામદાર સંઘ માંગ કરે છે કે સરદાર જી ૩ ને સેન્સર પ્રમાણપત્ર ન મળવા દેવી જોઈએ. આ ફક્ત રાજકીય મુદ્દો નથી, તે રાષ્ટ્રીય ભાવના અને આપણા દેશની ગરિમા વિશે છે.’
તમને જણાવી દઈએ કે ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ પહેલગામની બૈસરન ખીણમાં નાગરિકો પર હુમલો કર્યો હતો અને ૨૬ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. હુમલામાં માર્યા ગયેલા બધા પ્રવાસીઓ તરીકે ઓળખાયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. પહેલગામ હુમલાના લગભગ ૨ અઠવાડિયા પછી, ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો અને સમગ્ર પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી માળખાનો નાશ કર્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ભારત સરકારે ઓટીટી પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ અને મધ્યસ્થીઓને પાકિસ્તાનથી આવતી સામગ્રી અંગે એક સલાહ પણ જારી કરી. તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી ફિલ્મો, વેબ સિરીઝ, ગીતો અને પોડકાસ્ટ સહિત પાકિસ્તાન મૂળની સામગ્રી બંધ કરવાની સલાહ આપવામાં આવી હતી. ભારતમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.