વિમાન ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું અને વિમાન જે જગ્યા પર ક્રેશ થયું ત્યાં ડૉક્ટર્સની હોસ્ટેલ આવેલી છે
Ahmedabad, તા.૧૨
અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના બની છે, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી છૈં૧૭૧ ફ્લાઈટ ક્રેશ થઈ છે, અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ બાદ આ વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં ૨૪૦થી વધુ લોકો સવાર હતા. ક્રેશ થયેલા વિમાનનો કેટલોક ભાગ મેઘાણીનગરમાં આવેલી અતુલ્ય મેડિકલ હોસ્ટેલ પર પડ્યો છે. જેની અંદરની હચમચાવી દેનારી તસવીરો સામે આવી હતી. જેમાં વિમાનના કેટલાક ભાગ ઈમારત સાથે ટકરાતા ઘણો ભાગ તૂટી પડ્યો છે. વિમાનના ટાયર, તેની બોડી સહિતનો ભાગ ઈમારતની અંદર દેખાઈ રહ્યા છે. જેમાં હોસ્ટેલની અંદર એક મેસ કે જ્યાં ડૉક્ટર્સ જમતા હોય તે ભાગ પણ દેખાઈ રહ્યો છે.
અમદાવાદમાં વિમાન ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું અને વિમાન જે જગ્યા પર ક્રેશ થયું ત્યાં જ ડૉક્ટર્સની હોસ્ટેલ આવેલી છે. અતુલ્ય હોસ્ટેલનો અંદરનો ભાગ વિમાન પડ્યા પછી જાણે છીન્નભીન્ન થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વિમાન રહેણાક વિસ્તારમાં પડ્યું છે પરંતુ વિમાનનો કેટલોક ભાગ મેડિકલ હોસ્ટેલ પર પડ્યો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મળીને ૨૪૨ લોકો સવાર હોવાની માહિતી મળી છે. આવી સ્થિતિમાં વિમાન દુર્ઘટનામાં ઈમારતની દિવાલ તૂટી ગઈ હતી.
જમવાની જગ્યા છે ત્યાં વિમાનનો મોટો ભાગ દિવાલ તોડીને અંદર ઘૂસી ગયો હતો.મેસના ટેબલ પર જમવાની થાળીઓ પડેલી અને આ સમયે મેડિકલના વિદ્યાર્થી કે ડૉક્ટર્સ અહીં હતા કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
વિમાનનું વિશાળ ટાયર પણ એક જગ્યા પર બિલ્ડિંગ પાસે લટકી ગયું હતું, જેના કારણે વિમાનની દિવાલ તૂટી ગઈ છે. આ ઘટના દરમિયાન બિલ્ડિંગમાં હાજર મેડિકલ સ્ટૂડન્ટ્સને પણ ઈજાઓ થઈ હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.