Surendranagar,તા.09
લીંબડી શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વીજ વોલ્ટેજ વધઘટ થતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જેથી કરીને પીજીવીસીએલ તંત્ર આળસ ખંખેરી નર્મદા કેનાલ પર ચેકિંગ હાથ ધરીને ખેતીવાડી માટે કરાતી વીજ ચોરી બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.
હાલ તા.૨ અને ૩ જૂનથી સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા કેનાલમાં પાણી છોડવાની સાથે જિલ્લાના અનેક ગામોમાં લો-વોલ્ટેજના બુમરાણા સંભળાય રહ્યા છે. લોકોના ઘરોમાં વીજ પ્રવાહ ઘટી ગયો છે. જિલ્લામાં હાલ ભયંકર ગરમી પડી રહી છે. બફારાને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. અને તેમાં લો-વોલ્ટેજને કારણે તો લોકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
સામાન્ય વીજ પ્રવાહથી ચાલતા ઘરના પંખા પણ યોગ્ય ગતિથી ફરતા નથી. ઘર વપરાશમાં લો-વોલ્ટેજનું મુખ્ય કારણ સામે આવ્યું છે. કે ખેડૂતો જ્યોતિગ્રામના ફીડરમાંથી વીજ ચોરી કરી ખેતરોમાં પિયત કરી રહ્યા છે. ખેડૂતો કેનાલ નજીક ગેરકાયદે ટીસી મૂકીને મોટી માત્રામાં વીજ ચોરી કરી રહ્યા હોય એવી રાવ ઉઠવા પામી છે. જેના કારણે ઘરોમાં આવતી વીજળી સામાન્ય થઈ ગઈ છે.
જ્યોતિગ્રામના વીજ ફીડરથી ગેરકાયદે વીજ વાયરો ખેંચી ખેડૂતો ચોમાસું પાકનું આગોતરું વાવેતર કરી રહ્યા છે. જ્યોતિગ્રામના ગ્રાહકોએ વીજ કચેરીએ ખેડૂતો દ્વારા કરાતી વીજ ચોરી સંદર્ભે અનેક અરજીઓ કરી કેનાલ ઉપર મુકેલા ગેરકાયદે ટીસી દૂર કરાવી વીજ સમસ્યાનો હલ લાવવાની માંગ કરી છે. જેથી પીજીવીસીએલ વિભાગ આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલ ઉપર ચેકિંગ હાથ ધરી ખેતીવાડી માટે કરાતી વીજ ચોરી બંધ કરાવે તેવી માંગ છે.