Dwarka,તા.૪
ગુજરાતમાં આજનો દિવસ ભારે રહ્યો છે. અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ખાતા અંદાજે ૨૦ મુસાફરો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ સાબરકાંઠાના પ્રાંતિજમાં ટોલનાકા નજીક સુરતથી ઉદેપુર જઈ રહેલી લક્ઝરી બસમાં ટાયર ફાટતાં આગ ફાટી નીકળી હતી, જેમાં મુસાફરોના ઘરેણા, કપડા અને કિંમતી માલસામાન બળીને ખાખ થયો હતો. બસમાં સવાર ૪૨ લોકોનો આબાદ બચાવ થયો છે.
માહિતી મુજબ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસીઓ દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે ૧૫થી ૩૦ કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક ગોલાઇ પાસે રાત્રે સી.એન.જી. પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા સમયે અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જોકે, ડ્રાઈવર ત્યાંથી ભાગી છુટ્યો હતો. દ્વારકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાંતિજ પોલીસના જણાવ્યા મુજબ, અડાજણ વિસ્તારમાંથી ૪૦ જણા, જેમાં ૧૫ મહિલા, ૨૦ પુરુષ, ત્રણ બાળકી અને બે બાળક મળી ૫ બાળકનો સમાવેશ થાય છે, જે તમામ લકઝરી બસમાં બેસીને રાજસ્થાનના ઉદેપુર લગ્નમાં જતા હતા. દરમિયાન આજે વહેલી સવારે પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે અચાનક લકઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું. ત્યાર બાદ અચાનક બસમાં આગ લાગી હતી. એને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે, બધા મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. દરમિયાન આગ ફાટી નીકળતા મુસાફરોનો જીવ બચી ગયો હતો. અકસ્માતના પગલે લોકોનું ટોળું જમા થઈ ગયુું હતું. પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આગ કેવી રીતે ફાટી નીકળી, તે દિશામાં તપાસ શરૂ કરાશે. ફાયરબ્રિગેડે આગને બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસની અંદર રહેલો બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.