Gandhinagar,તા.17
રાજયમાં હવાઈ નેટવર્ક વધારવાનો પ્રોજેકટ ફાસ્ટટ્રક પર મુકીને દ્વારકા, વડનગર સહિત ગ્રીનફીલ્ડ એરપોર્ટની પ્રક્રિયા માટે આગામી બજેટમાં વધુ ફાળવણી કરવા ચક્રો ગતિમાન કરાયા છે.
રાજય સરકારના સૂત્રોએ કહ્યુ કે દ્વારકા, વડનગર ઉપરાંત અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા તથા પાલીતાણામાં પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની યોજના છે. ધાર્મિક, પ્રવાસ તથા અન્ય દ્દષ્ટિએ આ શહેરોમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને તેને હવાઈ નેટવર્કથી જોડવામાં આવશે. આગામી બજેટમાં 300 કરોડની ફાળવણી કરવામાં આવે તેવી શકયતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા વડનગરની ઐતિહાસિક-પુરાતત્વીય લોકપ્રિયતા સતત વધી રહી છે. ઉપરાંત વિખ્યાત યાત્રાધામ અંબાજીનુ કનેકશન મળી શકે તેમ હોવાથી ત્યાં એરપોર્ટ પ્રોજેકટ નકકી કરવામાં આવી રહ્યો છે. તુર્તમાં પ્રોજેકટ પર કામ શરૂ થશે.
સૂત્રોએ કહ્યું કે, દ્વારકા તથા વડનગર પાસેના સૂચિત એરપોર્ટ માટે પ્રાથમીક ફીઝીબીલીટી અભ્યાસ કરવામાં આવ્યો છે. વડનગર તથા અંબાજી નજીક જમીનની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉતર ગુજરાતને મોટો લાભ થઈ શકે છે. આવતા મહિનાઓમાં જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થશે.
એક સીનીયર અધિકારીએ કહ્યું કે અન્ય 9 એરપોર્ટ માટે પણ પ્રાથમીક ફીઝીબીલીટી અભ્યાસ તુર્તમાં શરૂ કરવામાં આવશે. આ વખતના તથા ભવિષ્યના બજેટમાં સૂચિત પ્રોજેકટો માટે સારી એવી નાણાકીય ફાળવણી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સુરત, વડોદરા, ભાવનગર તથા પોરબંદરના એરપોર્ટના વિસ્તરણનો પ્રોજેકટ પણ હાથ ધરવામાં આવશે. આ તમામ એરપોર્ટ કોર્પોરેશન વિસ્તારમાં જ છે અને વિસ્તૃત વિસ્તરણ પ્રોજેકટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સુરતને લાગેવળગે છે ત્યાં સુધી એરપોર્ટ આસપાસની જમીન સંપાદીત કરાશે. સુરતમાં વિમાની પ્રવાસીઓ સતત વધી રહ્યા છે એટલે સુવિધા વધારવાની જરૂર છે. પોરબંદર, ભાવનગર તથા વડોદરા એરપોર્ટમાં પણ દાયકાઓથી ફેરફાર નથી એટલે બે વર્ષમાં વિસ્તરણ તથા આધુનિકીકરણ કરાશે.
ગુજરાતમાં પ્રાદેશિક હવાઈ કનેકટીવીટી વધારવાના ટારગેટ સાથે રાજય સરકાર દ્વારા નવી ઉડ્ડયન નીતિ પણ બનાવવામાં આવશે. જેનો ઉદેશ રાજયના વિવિધ શહેરોને હવાઈ નેટવર્કથી જોડીને પ્રવાસન વિકસાવવાનો રહેશે.
રાજયના નાગરિક ઉડ્ડયન વિભાગ તથા સંબંધીત વિભાગો દ્વારા નીતિ ઘડવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા ઉપરાંત રાજયના શહેરોમાં વિમાની સેવા શરૂ કરવા એરલાઈન્સોને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.
વિમાન ઉપરાંત વિવિધ શહેરો વચ્ચે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રકારની સેવા ધરાવતા રાજયોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.