Bhavnagar,તા.06
રેશનકાર્ડમાં જે-તે સમયે આધારકાર્ડ લીંક કરવાની થયેલી કામગીરીમાં આળસુ અધિકારીઓ અને ઓપરેટરોએ ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક કર્યાના મસમોટા છબરડા અને સરકારને ટાર્ગેટ પૂરો કર્યાની કામગીરી દેખાડવા કરેલા કૌભાંડની ઈ-કેવાયસીએ પોલ ખોલી નાંખી છે. આવા અધિકારી-કર્મચારીઓના પાપનો પરિણામ અત્યારે રેશનકાર્ડ ધારકો ભોગવી રહ્યા છે. ઈ-કેવાયસી દરમિયાન રેશનકાર્ડમાં ખોટો આધાર નંબર હોવાની ખબર પડયા બાદ લાભાર્થીઓ આધાર નંબર સુધરાવવા ઝોનલ ઓફિસોએ દોડધામ કરે છે. પરંતુ કામ-ધંધા પાડીને વહેલી સવારથી ધામા નાંખવા છતાં ત્યાં પણ કનેક્ટિવિટી અને સર્વરની કાયમી સમસ્યાના કારણે લોકોને હતાશ-નિરાશ થઈ પાછું ફરવું પડી રહ્યું છે.
રેશનકાર્ડમાં કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવા ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ-નવી દિલ્હીએ નિર્દોશ જારી કર્યો છે. જેને લઈ હાલ ભાવનગર શહેર અને જિલ્લાના રેશનકાર્ડ ધારકો મોબાઈલ એપ્લિકેશન, મામલતદાર કચેરી સહિતના માધ્યમથી ઈ-કેવાયસી કરાવી રહ્યો છે. પરંતુ આ કામગીરી દરમિયાન ઘણાં બધા લોકોને તેમના રેશનકાર્ડમાં લીંક થયેલા આધારકાર્ડના નંબરો ખોટા હોવાનું કહેવા અને જાણવા મળે છે. જેથી રેશનકાર્ડમાં આધાર નંબર સુધરાવવા માટે તેઓને ફરજીયાત ઝોનલ કચેરીએ ધક્કા ખાવા પડતા હોય, અહીં પણ દરરોજ લાંબી લાઈનો વચ્ચે મર્યાદિત લોકોના જ સાચા આધાર નંબર અપડેટ થઈ રહ્યા છે.
ઝોનલ કચેરીઓમાં સ્ટાફ સિમિત અને બપોર સુધી જ કામગીરી થાય છે. તેમાં પણ દરરોજ કનેક્ટિવિટીના ધાંધિયા રહે છે. જેના કારણે કલાકો સુધી રાહ જોઈને બેઠતા લોકોને લીલા તોરણે પાછા ફરવું પડે છે. ઘરના કામો પડતા મુકી, દનૈયા પાડીને ઘણાં દિવસો સુધી ધક્કા ખાવા છતાં પણ રેશનકાર્ડમાં આધારકાર્ડનો સુધારો ન થતાં કેટલાક લોકો તો હિંમત હારી ગયા છે અને સુધારા માટે દોડધામનું કામ જ પડતું મુકી દેવા નિર્ણય કર્યો છે.
રેશનકાર્ડ ધારકોની અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી દયનિય સ્થિતિ પાછળ ખૂદ જવાબદાર સરકારી તંત્ર જ છે! છ વર્ષ પહેલા જ્યારે રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોના આધાર લીંક કરાયા હતા. ત્યારે 100 ટકા કામગીરીનો દેખાડો કરવા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા ઓપરેટરોએ વેઠ ઉતારી ખોટા આધાર નંબરો નાંખી દીધા હોવાથી અત્યારે ઈ-કેવાયસી કરવા સમયે લોકોને આધારકાર્ડ ખોટું લીંક થયેલું હોવાની જાણ થઈ રહી છે અને હવે ઈ-કેવાયસીની પ્રોસેસ પૂરી કરવા માટે પહેલા આધાર નંબરનો સુધારો કરવા દોડધામ કરવી પડતી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે.
આમ, અગાઉ કરવામાં આવેલી ઝીંકમ ઝીંકનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે, સાથે પુરવઠા તંત્રનો હાલનો સ્ટાફ પણ ધંધે લાગી રહ્યો છે. તેમાં પણ કઠણાઈ હોય તેમ દરરોજ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન હોવાના ધાંધિયા રહેતા હોય, કર્મચારીઓને પણ લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.
કુટુંબના વડા સિવાય અન્ય સભ્યોને જાણ ન હતી
રેશનકાર્ડ સાથે આમ તો ઘણાં વર્ષોથી આધારકાર્ડ લીંક થયેલા છે. પરંતુ સસ્તા અનાજની દુકાને જઈ અંગુઠો મારી બાયોમેટ્રિકથી અનાજ લેવા જતાં કુટુંબના વડા કે કુટુંબના અન્ય એક સભ્ય સિવાય રેશનકાર્ડમાં પોતાનો આધાર નંબર ખોટો હોવાની અત્યાર સુધી કોઈને જાણ જ ન હતી. અગાઉ કેટલાક કિસ્સાઓ એવા પણ સામે આવ્યા હતા, જેમાં રેશનશોપે અનાજ લેવા જતાં લાભાર્થીનો અંગુઠો ન આવતા તેમણે ઝોનલ ઓફિસે જઈ તપાસ કરતા આધાર નંબર ખોટો હોવાની ખબર પડી હતી અને બાદમાં તેમણે તેમાં સુધારો કરાવ્યો હતો. અત્યારે જે મુખ્ય સમસ્યા ઉદ્ભવી છે, તેમાં મોટાભાગના એવા લોકો છે, જે અંગુઠા મારવા ક્યારેય રેશનશોપે ગયા ન હોય. ઈ-કેવાયસી કર્યું ત્યારે આધાર નંબર ખોટો હોવાનું તેમણે જાણવા મળ્યું હતું અને હવે સુધારો કરવા દોડધામ કરી રહ્યા છે.
આધાર ફેસઆરડી એપમાં પડતી મુશ્કેલી
રેશનકાર્ડમાં ઈ-કેવાયસી માટે મામલતદાર/ઝોનલ કચેરી, નાયબ મામલતદાર (પુરવઠા)/ઝોનલ કચેરી, સસ્તા અનાજની દુકાનો, ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ દ્વારા આધારકાર્ડ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણિકરણ કરવાની કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત ઘરે બેઠાં માય રેશન મોબાઈલ એપ્લિકેશન વડે ફેસ ઓથેન્ટિકેશનથી ઈ-કેવાયસી કરાવી શકે છે.
મોબાઈલ એપ્લિકેશનમાં ઈ-કેવાયસી કરવા માટે પહેલા આધાર ઓટીપી પછી મોબાઈલ નંબરમાં આવેલા ઓટીપી દાખલ કર્યા બાદ ફેસઆરડી એપમાં મોઢું (ચહેરો) સ્કેન થયા બાદ મંજૂરી માટે ઈ-કેવાયસી વિગતો મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણાં લોકોને ફેસ ઓથેન્ટિકેશન સ્વીકારવામાં ન આવતા એરર આવી જાય છે અને ફરી વખત એકડો ઘૂંટવો પડે છે. આવી મુશ્કેલીનો વારંવાર સામનો કરવો પડતો હોવાનો પણ રેશનકાર્ડ ધારકોમાં કકળાટ સાંભળવા મળી રહ્યો છે.
કામ-ધંધા પડતા મુકી લોકોને ઝોનલ અને આધાર કેન્દ્રોના થતા ધક્કા
ભાવનગર શહેરનાં નાગરિકોને રેશનકાર્ડમાં આધાર નંબર ખોટો હોય તો કામ-ધંધો પડતો મુકી ઝોનલ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘણાં લોકો તો વહેલી સવારે છ-છ, સાત-સાત વાગ્યાના ધામા નાંખીને બેઠી જાય છે. તેમ છતાં ત્યાં પણ એક ધક્કે કામ પૂરૂં થાય તેવું ભાગ્યે જ બની છે. અન્ય એક સમસ્યા એવી પણ સામે આવી છે કે, ઈ-કેવાયસી માટે બે વખત ઓટીપી આવે છે.
જેમાં આધારકાર્ડમાં લીંક થયેલા મોબાઈલ નંબરનો ઓટીપી ફરજીયાત હોય છે. જેથી કોઈ કુટુંબના સભ્યના આધારકાર્ડમાં મોબાઈલ નંબર એડ ન થયો હોય તો તેમણે રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે પહેલા આધારમાં મોબાઈલ નંબર લીંક કરવા આધાર સેવા કેન્દ્રો-સેન્ટરોએ ધક્કા ખાવા જવું પડે છે. ત્યાં પણ લાંબી-લાંબી લાઈનો થતી હોવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
વિસ્તાર પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ તો હેરાનગતિ ઘટે
રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવું અત્યારે ઘણાં લોકો માટે તો લોઢાના ચણાં ચાવવા જેવું થઈ ચુક્યું છે. ખાસ કરીને રેશનકાર્ડમાં આધાર નંબર બદલાવવા, આધારકાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવામાં નાગરિકોને ઘણી જ તકલીફો વેઠવી પડી રહી છે. ત્યારે આવી સમસ્યામાં લોકોને રાહત મળે અને દી’ ભાંગતા બચે તે માટે સરકારી તંત્રે વિસ્તાર વાઈઝ સેન્ટરો ઉભા કરી સુધારા-વધારાની કામચલાઉ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો હેરાનગતિ ઘટે તેવી ભાવનગરની જનતાની લાગણી છે. આ ઉપરાંત સતત ઈ-કેવાયસી કેમ્પો પણ યોજવામાં આવે તો ઈ-કેવાયસીની કામગીરીને ગતિ મળે અને લોકોને કડવા અનુભવો થતા અટકી શકે તેમ છે.