Karachi,તા.૩
પાકિસ્તાનમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે.મોડી રાત્રે કરાચીની માલીર જેલની દિવાલ તોડીને મોટી સંખ્યામાં કેદીઓ ભાગી ગયા. ભાગી ગયેલા કેદીઓની સંખ્યા ૨૦૦ થી વધુ હોવાનું કહેવાય છે. આ ઘટના પછી, સમગ્ર કરાચીમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. સેનાને માલીર જેલ નજીક પણ ગોળીબાર કરવો પડ્યો. ગોળીબારથી નજીકના લોકોમાં ગભરાટ ફેલાયો.
જેલની નજીક હાઇવે પર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સે ભાગી ગયેલા કેદીઓની શોધ તીવ્ર બનાવી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં બેરિકેડ લગાવી છે. ભાગી રહેલા કેદીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે હળવા ભૂકંપને કારણે જેલની દિવાલ ધરાશાયી થઈ ગઈ. આ પછી, કેદીઓએ આ દિવાલને સંપૂર્ણપણે તોડી નાખી. લગભગ ૨૦૦ કેદીઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, કેદીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયારો છીનવી લીધા અને ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબાર દરમિયાન એક કેદીનું મોત થયું અને પાંચ ઘાયલ થયા. ગોળીબારમાં ત્રણ હ્લઝ્ર જવાનો પણ ઘાયલ થયા. વિવિધ વિસ્તારોમાંથી લગભગ ૭૩ કેદીઓને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ૯ શંકાસ્પદોની પણ અટકાયત કરી છે.
સિંધના જેલ મંત્રી અલી હસને માલીર જેલમાંથી કેદીઓના ભાગી જવાની ઘટનાની નોંધ લીધી છે. આઈજી જેલ અને ડીઆઈજી જેલ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે આ વિસ્તારને ઘેરી લેવામાં આવે. જેલ મંત્રીએ કહ્યું કે ભાગી ગયેલા કેદીને કોઈપણ કિંમતે પકડી લેવામાં આવશે અને ઘટનામાં બેદરકારી દાખવનારા અધિકારીઓની ઓળખ કરવામાં આવશે.