Chhattisgarh તા.18
છતીસગઢના બહુચર્ચિત શરાબ ટેકસ કૌભાંડની તપાસ હવે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સુધી પહોંચી છે. ઈડીએ તેમના ભિલાઈ સ્થિત નિવાસે દરોડા પાડયા હતા. આ લીકર એકસાઈઝ કૌભાંડ 2100 કરોડથી વધીને 3200 કરોડનું થઈ ગયું છે.
છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડમાં હવે ભૂપેશ બઘેલ પણ ફસાયા છે. આજે શુક્રવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી છે.
નોંધનીય છે કે, છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ હવે 2100 કરોડ રૂપિયાથી વધીને 3200 કરોડ રૂપિયા થઈ ગયું છે. એજન્સીઓ આ મામલાની સતત તપાસ કરી રહી છે. મંગળવારે (15 જુલાઈ), ED ની ટીમે હોટેલ માલિક વિજય અગ્રવાલના ભિલાઈ નિવાસસ્થાન તેમજ હોટેલ અને અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન ટીમે વિજય અગ્રવાલના ગોવા અને દિલ્હીના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં ED એ 70 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. હોટેલ માલિક વિજય અગ્રવાલને પૂર્વ મુખ્યમંત્રીના નજીકના માનવામાં આવે છે. જેથી, હવે શુક્રવારે (17 જુલાઈ) સવારે ED એ ભૂપેશ બઘેલના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી બઘેલે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા કહ્યું કે, ’ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. તેથી ’સાહેબે’ ભિલાઈના નિવાસસ્થાને ED મોકલી દીધો છે.
નોંધનીય છે કે, આજે છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રનો પાંચમો અને છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં ભૂપેશ બઘેલે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો હતો, પરંતુ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે, આવું ન થાય.