સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એક વખત કહ્યું છે કે પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે, જે તેણે ખાલી કરવું પડશે. યુએનમાં પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપ્યો હોય. યુએનની રુટિન ચર્ચામાં પણ પાકિસ્તાન કાશ્મીર પર જ પોતાનું મોં ખોલે છે. ભારતે દર વખતે તેને રોકડો જવાબ આપ્યો છે. યુએનએસસીમાં આ વખતે પણ પીસ કીપિંગ ચર્ચા દરમ્યાન જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર બકવાસ કર્યો તો ભારતે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે. યુએનમાં પાકિસ્તાનના આ રીતે વારંવાર ઉલ્લેખ ના તો તેના ગેરકાયદે દાવાને માન્ય કરે છે અને ના તેના રાજ્ય પ્રાયોજિત સીમા પારથી આતંકવાદને યોગ્ય ઠેરવે છે. પાકિસ્તાને પોતાના સંકીર્ણ અને ભાગલાવાદી એજન્ડાને આગળ વધારવા માટે યુએન મંચનું ધ્યાન ભટકાવવાની કોશિશ ન કરવી જોઇએ. કાશ્મીરને લઈને પાકિસ્તાને હંમેશાં જૂઠ્ઠાણાં જ ચલાવ્યાં છે. પાકિસ્તાનના બંધારણ અનુસાર પીઓકે વિદેશી જમીન છે, તે પાકિસ્તાનનો હિસ્સો નથી. પાકિસ્તાનના બંધારણનો એક આર્ટિકલ કહે છે કે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને સિંધ પ્રાંત છે. તેના બંધારણમાં પીઓકેનો કોઈ ઉલ્લેખ નથી.
પાકિસ્તાને બંધારણમાં પીઓકેનો ઉલ્લેખ આર્ટિકલ ૨૫૭માં કર્યો છે, જેમાં કહેવાયું છે કે પીઓકે પાકિસ્તાનનો હિસ્સો ત્યારે જ બનશે જ્યારે ત્યાંના લોકો આપણી સાથે જોડાવા માગશે. પાકિસ્તાન સરકારે ૨૦૨૩ની ૩૧ મેના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં કહ્યં હતું કે પીઓકે વિદેશી જમીન છે. એ સમયે કાશ્મીરી કવિ અને પત્રકાર અહમદ ફરહદ શાહના કિડનેપિંગ મામલે સુનાવણી ચાલી રહી હતી. એ દરમ્યાન પાકિસ્તાનના એટર્ની જનરલે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિદેશી જમીન છે. એવામાં પાકિસ્તાનને પીઓકેથી પોતાના ગેરકાયદે કબ્જાને તાત્કાલિક હટાવી દેવો જોઇએ અને યુએનમાં કાશ્મીરને લઈને વારંવાર જૂઠ્ઠું ન બોલવું જોઇએ. હવે સમય આવી ગોય છે કે માત્ર વાતો અને નિવેદનોથી ભારત પીઓકે હાંસલ નહીં કરી શકે, તેના માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક અને લશ્કરી દબાણ વધારવું પડશે, યુએન જેવા ગ્લોબલ મંચોનો ઉપયોગ પણ પીઓકે માટે કરવો પડશે. તાકાતવર દેશો સાથે મજબૂત સંબંધ બાદ હવે ભારતે પીઓકેની દિશામાં લશ્કરી પગલા પર વિચાર કરવો જોઇએ. પાકિસ્તાનનું માનવું છે કે પીઓકેના લોકો જ્યારે જોડાવા માગશે, ત્યારે તે તેનો હિસ્સો બનશે. ભારતે પાકિસ્તાનની આ બંધારણીય સ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઇએ, કારણ કે પહેલાં કેટલીય વાર પીઓકેના લોકો પાકિસ્તાનનો વિરોધ કરી ચૂક્યા છે. પીઓકેમાં પાકિસ્તાન વિરોધી આંદોલન ભારત માટે એક અવસર સમાન છે. ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે ભારતમાં વિલય માટે હસ્તાક્ષર પણ કર્યા હતા. આ કાયદાકીય સ્થિતિ પણ ભારતના પક્ષમાં છે. કેટલીય સ્થિતિઓ છે, જેનાથી ભારત પીઓકે હાંસલ કરી શકે છે. છેલ્લા ચાર વખતના યુદ્ઘ દરમ્યાન ભારતે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનને હાંસલ કરવામાં અવસર ગુમાવ્યા છે. શાંતિના માહોલમાં મંત્રણાથી પણ ભારત પીઓકે હાંસલ કરી શકે છે, જોકે આ મુશ્કેલ કામ છે.