શ્રીલંકાની યાત્રાથી પાછા આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામનવમીના અવસરે રામેશ્વરમ દ્વીપને તમિલનાડુની મુખ્ય ભૂમિ અને રેલવે નેટવર્ક સાથે જોડનારા પંબન પુલનું ઉદ્ઘાટન રાજ્યની સાથે જ દેશને મળનારી એક ભેટ છે. પોતાની પ્રકારના આ અનોખા સમુદ્રી પુલનું નિર્માણ તમિલનાડુ માટે મોટી ઉપલબ્ધિ અને ગર્વનો વિષય છે. એ જોવું દુઃખદ રહ્યું કે આ અવસર પર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન સાથે મંચ પર હાજર રહેવું જરૂરી ન માન્યું. એ ઠીક છે કે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે તેમના એક મંત્રી હાજર હતા, પરંતુ કોઇપણ સમજી શકે છે કે તેમણે સંકીર્ણ રાજકીય કારણોસર જ આ કાર્યક્રમથી દૂર રહ્યા. આ બીજું કશું નહીં, સામાન્ય રાજકીય શિષ્ટાચારનું ઉલ્લંઘન જ છે. સ્ટાલિને માત્ર વડાપ્રધાનના કાર્યક્રમોમાં હાજર ન રહેવું જ યોગ્ય ન માન્યું, પરંતુ તેમણે આ પ્રસંગે પરિસીમનનાં રોદણાં પણ રડવાનું ચાલુ કર્યું. તેમણે પરિસીમનનો મામલો ઉઠાવીને ફરીથી એ જ સાબિત કર્યું કે તેઓ કેન્દ્ર સરકાર સાથે એક એવા વિષય પર તકરાર કરવા માટે ઉતાવળા છે, જેનો હાલમાં કોઈ મતલબ નથી બનતો.
પરિસીમનની નોબત તો ત્યારે આવશે જ્યારે જનગણના થશે. સ્ટાલિન પરિસીમનની જેમ જ ભાષાનો મુદ્દો પણ ઉઠાવતા રહ્યા છે. આ તો બિલકુલ વ્યર્થનો મુદ્દો છે, કારણ કે તેઓ નવી શિક્ષણ નીતિના જે ત્રિભાષા ફોર્મ્યૂલાનો ઉલ્લેખ કરીને એ શોર મચાવી રહ્યા છે કે હિંદી થોપવામાં આવી રહી છે, તેમાં તો હિંદીનો ક્યાંય કોઈ ઉલ્લેખ જ નથી. સ્ટાલિન જે રીતે પરિસીમન, ભાષા અને કેન્દ્ર દ્વારા તમિલનાડુની કથિત અવગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, તેનાથી જો કશું સ્પષ્ટ થતું હોય તો એ જ કે તેઓ આગામી વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ક્ષેત્રવાદની સંકીર્ણ રાજનીતિ કરવામાં જોડાઈ ગયા છે. દેશના મોટાભાગના પ્રાદેશિક પક્ષોની એ જ સમસ્યા છે કે તે રાજકીય અને ચૂંટણી લાભ માટે ક્ષેત્રવાદને જાણીજોઈને હવા આપતા રહે છે. એવું કરીને તેઓ એવું દર્શાવી રહ્યા છે કે તેમનામાં રાષ્ટ્રીય દૃષ્ટિનો અભાવ છે. રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓ પર ક્ષેત્રિય સંકીર્ણતાની રાજનીતિ કરનારા ખુદની સાથે પોતાના રાજ્યની પણ રાષ્ટ્રીય મુખ્યધારાથી અંતર વધારે છે. એ સારું થયું કે વડાપ્રધાન મોદીએ સ્ટાલિનની દુષ્પ્રચારની રાજનીતિની પોલ ખોલતાં એમ કહ્યું કે સ્ટાલિન અને તેમના સહયોગીઓ પોતાના હસ્તાક્ષર તમિલ ભાષામાં કેમ નથી કરતા, સાથે જ એમ પણ પછ્યં કે તેઓ પોતાના રાજ્યના છાત્રોને મેડિકલનું શિક્ષણ તમિલ ભાષામાં કરવાની સુવિધા કેમ નથી આપતા. એ વિચિત્ર છે કે વડાપ્રધાન તો રાષ્ટ્રની પ્રગતિમાં તમિલનાડુની ભૂમિકાનો ઉલ્લેખ કરી રહ્યા છે, પરંતુ સ્ટાલિન ક્ષેત્રવાદની રાજનીતિને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.