નવા નિયુક્ત કરાયેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કમાર પદભાર સંભાળતાં પહેલાં જ સવાલોમાં ઘેરાઈ ગયા છે. નિયુક્તિ-પ્રક્રિયા સાથે જોડાયેલા આ સવાલો તેમની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને શંકાસ્પદ બનાવે છે. જ્ઞાનેશકુમારની નિયુક્તિ નવા કાયદા અનુસાર ૧૭ ફેબ્રુઆરીએ થઈ. હરિયાણાના મુખ્ય સચિવ વિવેક જોશી પણ નવા ચૂંટણી કમિશ્નર નિયુકત કરવામાં આવ્યા છે. મોટો સવાલ તો વિપક્ષ એ જ ઉઠાવી રહ્યો છે કે જ્યારે નિયુક્તિ સાથે જોડાયેલ નવા કાયદાની કાયદેસરતાને પડકારતી અરજી પર સર્વોચ્ચ ન્યાયાલયમાં ૧૯ ફેબ્રુઆરીએ સુનાવણી છે તો આ નિયુક્તિની ઉતાવળ કેમ? ૧૭ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના નામિત કેબિનેટ મંત્રી અમિત શાહ સાથે બેઠકમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ જ તર્ક સાથે પોતાની અસહમતિની ટિપ્પણી આપીને નીકળી ગયા હતા. તેમ છતાં જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવવાની અધિસૂચના જારી કરી દેવામાં આવી છે.
એક સંયોગ એ પણ છે કે ચૂંટણી કમિશ્નર રૂપે પણ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની નિયુક્તિ ૧૪ માર્ચ, ૨૦૨૪ના રોજ અચાનક કરી દેવાઈ હતી. હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર સાથે ચૂંટણી કમિશ્નર રહેલા અનૂપ ચંદ્ર પાંડે ૧૪ ફેબ્રુઆરીએ રિટાયર થઈ ચૂક્યા હતા, તો લોકસભા ચૂંટણીની ઘોષણા પહેલાં ૯ માર્ચે બીજા ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે અચાનક રાજીનામું આપી દીધું. ત્યારે સવાલ પૂછવામાં આવતો હતો કે શું એકલા રાજીવ કુમાર લોકસભા ચૂંટણી કરાવી લેશે?યાદ નથી આવતું કે ટીએન શેષન બાદ કોઈ ચૂંટણી કમિશ્નર કે મુખ્ય ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ નિર્વિવાદ પસાર થયો હોય. એક અનુશાસિત નોકરશાહની છબિ ધરાવતા શેષન પોતાની સખ્તાઈથી તમામ રાજકીય પક્ષો માટે આતંક સમાન બની ગયા હતા. બ ેશક દેશભરમાં શેષનની સાખ અને જનતા વચ્ચે પણ સન્માન, ત્યારબાદ ચૂંટણી પંચ માટે બેહદ કઠિન કસોટી બની ગાય છે. એ સ્વાભાવિક તો છે, પરંતુ સવાલ પણ પેદા કરે છે કે ચૂંટણી પંચની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર સવાલ અને શંકા હંમેશાં વિપક્ષ તરફથી જ ઊઠે છે, જ્યારે સત્તાપક્ષને તે આદર્શ સંસ્થા દેખાય છે. આજે કોંગ્રેસ ચૂંટણી પંચની સાખને લઈને સૌથી વધુ ચિંતિત દેખાયછે, પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન કાળમાં જ ચૂંટણી પંચને એકથી ત્રણ સદસ્યોનું બનાવી દેવાયું હતું, જેથી અંકુશ અને સંતુલનને અવકાશ રહે.
અસલમાં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશ્નરોની સંખ્યાને લઈને બંધારણ મૌન છે. બંધારણનો અનુચ્છેદ ૩૨૪(૨) કહે છે કે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર હોઇ શકે છે, જેની સંખ્યા રાષ્ટ્રપતિ પર નિર્ભર કરશે. તેથી આઝાદી બાદ દેશમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશ્નર જ રહ્યા. નવમી લોકસભા ચૂંટણી પહેલાં ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ના રોજ રાજીવ ગાંધી સરકારે બે બીજા ચૂંટણી કમિશ્નર નિયુક્ત કરી દીધા, જેનાથી પંચ બહુસદસ્ય સંસ્થા બની ગયું. ત્યારે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશ્નર આરવીએસ પેરીશાસ્ત્રી પર અંકુશ લગાવવા માટે એવું કરવામાં આવ્યું.
બંધારણીય સંસ્થા ચૂંટણી પંચથી સત્તાની રમત આગળ પણ ચાલુ રહી. કેન્દ્રમાં સત્તા પરિવર્તન સાથે વ્યવસ્થા ફરી બદલાઈ. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ વી.પી. સિંહની સરકારે ચૂંટણી પંચને ફરીથી એક સદસ્યનું કરી દીધું. પછી જ્યારે ૧૯૯૧માં પીવી નરસિંહ રાવના નેતૃત્વમાં કોંગ્રેસની કેન્દ્રીય સત્તામાં વાપસી થઈ, તો ૧ ઓક્ટોબર ૧૯૯૩ના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે બે ચૂંટણી કમિશ્નર નિયુક્ત કરીને ચૂંટણી પંચને ત્રણ સદસ્યોનું બનાવી દેવાયું. કદાચ બહુસદસ્ય ચૂંટણી પંચ બાદની સરકારોને પણ યોગ્ય લાગ્યું, તેથી આ વ્યવસ્થા આજ સુધી ચાલુ છે.
જ્ઞાનેશકુમારને મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવવા પર સર્વોચ્ચ અદાલતમાં પડતર સુનાવણી ઉપરાંત, સરકાર સાથે તેમન નિકટતાને કારણે પણ સવાલ ઉઠાવાઈ રહ્યા છે. ચૂંટણી કમિશ્નર સુખબીર સિંહ સંધુ પર પણ ઉત્તરાખંડ કેડરને કારણે સવાલ ઉઠાવવામાં આવે છે, તો હવે નિયુક્ત બીજા ચૂંટણી કમિશ્નર વિવેક જોશીને પણ સરકારના વિશ્વાસુ માનવામાં આવે છે. જોકે એક દિલચસ્પ આકલન એ પણ છે કે ૨૦૨૯માં થનારી આગામી લોકસભા ચૂંટણી સમયે વિવેક જોશી મુખ્ય ચૂંટણી કમિશ્નર હશે, કારણ કે જ્ઞાનેશ કુમાર ૨૭ જાન્યુઆરી, ૨૦૨૯ના રોજ સેવાનિવૃત્ત થઈ જશે.આ જ પ્રકારની ગણનાને લઈને સવાલ ભારતીય જનતા પાર્ટીએ ત્યારે ઉઠાવ્યા હતા, જ્યારે ૨૦૦૫માં તત્કાલીન મનમોહન સિંહ સરકારે નવીન ચાવલાને ચૂંટણી કમિશ્નર બનાવ્યા હતા. નવીન ચાવલાના મુખ્ય ચૂંટણી કમિશ્નર કાળમાં જ ૨૦૦૯માં લોકસભા ચૂંટણીઓ થઈ. એમના પર, ખાસ કરીને તેમની પત્ની રુપિકાની કોંગ્રેસ સાથે નજદિકીને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. વધુ ભૂતકાળમાં જઈએ તો શેષનની નિવૃત્તિ બાદ ૧૯૯૬ થી ૨૦૦૧ સુધી મુખ્ય ચૂંટણી કમિશ્ન રહેલા મનોહર સિંહ ગિલને કોંગ્રેસે રાજ્યસભા સદસ્ય જ નહીં, બલ્કે મનમોહન સરકારમાં મંત્રી પણ બનાવ્યા હતા. દેખીતું છે, ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થામાં પોતાને અનુકૂળ વ્યક્તિઓની નિયુક્તિમાં સંકોચ કોઈપણ સત્તારૂઢ પક્ષે ક્યારેય નથી રાખ્યો, પરંતુ જ્યારે આ જ પક્ષ વિપક્ષની ભૂમિકામાં આવે છે તો તેને પંચની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાની ચિંતા સતાવવા લાગે છે.