મહાત્મા ગાંધીજી વિશ્વના છે, પણ તેમનો એકડો કાઢવામાં હવે ગાંધી ગુજરાતનાય કેટલા રહ્યા હશે તે સવાલ જ છે. દારૃબંધી જાળવવા ને ડ્રગ્સ માફિયાઓને જેર કરવા પ્રયત્નો થાય છે, પણ વધુ દારૃ પકડાવામાં ને દરિયે વધુ ડ્રગ્સ ઉતારવાની વાતનો કોઈ ચોક્કસ ખેલ પકડાતો નથી. ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સ ઉતારવા માટે જ બન્યો હોય તેમ અહીં ડ્રગ્સ ઊતરે છે ને ધીમે ધીમે ખતરનાક રીતે તે અંતરિયાલ વિસ્તારમાં પહોંચે પણ છે. દારૃબંધી હોય એવું જરા પણ યાદ ન આવે એ રીતે, દારૃની હેરફેર, રેલવે દ્વારા ઘણાં શહેરોમાં વિના રોકટોક ચાલતી હોવાના પુરાવા વધતા જાય છે. ગમે ત્યાં ટ્રેનનું ચેઇન પુલિંગ કરીને, વચ્ચે જ ટ્રેન થોભાવીને દારૃનાં પોટલાં ઉતારી લેવાઈ રહ્યાની વાતો વધતી જાય છે. લોકોએ ઊહાપોહ કરતાં પોલીસ હાજર તો થઈ જાય, પણ પછી પરિસ્થિતિ બદલાતી નથી. પબ્લિક ઘણીવાર એટલી ઉશ્કેરાઈ જાય કે પોલીસની હાજરીમાં જ રાજ્યના સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરે છે. હવે લોકો એવું પણ ચર્ચતા થયા છે કે પોલીસ હેલ્મેટ ફરજિયાત કરવા જીવ પર આવ્યા છે, પણ દારૃની હેરફેર રોકવાનો ઉકેલ આટલા વર્ષોની દારૃબંઘી પછી પણ પણ મળતો નથી.
દારૃબંધી નથી એવા રાજ્યમાં, દારૃ અને ડ્રગ્સથી થતાં નુકસાન કરતાં, દારૃબંધીવાળા ગુજરાતમાં થતું નુકસાન વધારે હોય તો નવાઈ નહીં ! હોળી-ધૂળેટી જેવા તહેવારોમાં ઘણા દારૃ પી-પાઈને તેની ઉજવણી કરવામાં જ ધર્મ માનતા હોય છે. એક તબેલામાં દૂધને બદલે દારૃ ઝડપાયો. રાજકોટમાં દૂધની જેમ દેશી દારૃ, ગાંજો, ડ્રગ્સ અને ચરસ વગેરે ૨૫ જગ્યાએ વેચાઈ રહ્યાના સમાચાર આવ્યા હતા. જાહેરમાં નબીરાઓ દારૃ ઢીંચીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યાના વીડિયો વાઇરલ થયા કરે છે. પોલીસ સ્ટેશન નજીકમાં જ હોવા છતાં આ નબીરાઓ કાયદાની ઐસી તૈસી કરીને પૂરી બેશરમીથી દારૃની મહેફિલ માણતા થઈ ગયા છે. સવાલ તો એ પણ છે કે પોલીસ રાતભર ચેકિંગ કરતી હોવાનો દાવો કરે છે, ત્યારે પોલીસનું પેટ્રોલિંગ શંકાસ્પદ બની જાય છે. દારૃબંધીનો પ્રભાવ ગુજરાતમાં નબળો પડી ગયો છે. સરકાર દાવાઓ તો ઘણા કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે, પણ એમ લાગતું નથી. ગુજરાત વિધાનસભામાં સરકાર માહિતી આપે છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ૮ જિલ્લાઓમાંથી એક જ વર્ષમાં ૨ લાખથી વધુ લિટરની દેશી દારૃની અને ૩૦ લાખથી વધુની વિદેશી દારૃની બોટલો પકડાઈ છે. વાત કરોડો રૃપિયાનો દારૃ પકડવા પૂરતી સીમિત નથી રહી, પણ ચરસ અને અફીણનો કરોડોનો જથ્થો પણ પકડાયો છે તે ચિંત્ય છે. ગુજરાત હવે દારૃ ઉપરાંત ડ્રગ્સ, ગાંજા, ચરસનું મુખ્ય મથક બની ગયું હોવાની ચર્ચા અને આક્ષેપ ગંભીર છે. આટલો માલ ગુજરાતમાં ઊતરે છે તે પણ ખરું કે કેમ? પ્રજાને બરબાદ કરે છે તે જોખમ અંગે વિચારવાનું ખરું કે કેમ?