અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચામાં કપાતના નામે અબજોપતિ કારોબારી એલન મસ્કના નેતૃત્વમાં જે સરકારી દક્ષતા વિભાગની રચના કરી છે, તેને ભારતીય ચૂંટણીઓમાં મતદારોની ભાગીદારી વધારવા માટે અપાતા ૨.૧ કરોડ ડોલરનું અનુદાન રદ્દ કરવાના નિર્ણયે ભારતની ચૂંટણીઓમાં વિદેશી દખલનો મુદ્દો ફરીથી ગરમાવી દીધો છે.
રાજકીય ખેંચતાણ પોતાની જગ્યાએ છે, પરંતુ એ સવાલ ચોક્કસ ઊઠે છે કે આખરે અમેરિકા બીજા દેશોમાં લોકતાંત્રિક ભાગીદારીને પ્રભાવિત કરવા માટે પોતાના કરદાતાઓના પૈસા કેમ અને કેવી રીતે ખર્ચ કરે છે? દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં હંમેશાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની વાત થાય છે, પરંતુ હાલનાં વર્ષોમાં ચૂંટણી પ્રક્રિયાઓમાં વિદેશી દખલની આશંકા એક ગંભીર મુદ્દો બનીને ઉભરી છે, જેના સમાચારો પ્રત્યક્ષ અને પરોક્ષ, બંને રૂપે સામે આવ્યા છે. ચાહે તે વિદેશી સરકારો દ્વારા વિત્તપોષિત પ્રચાર અભિયાન હોય, ડિજિટલ માધ્યમો દ્વારા જનમતને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોય કે પછી કેટલાક રાજકીય પક્ષોને કથિત રીતે પરોક્ષ રૂપે આર્થઇક મદદ ઉપલબ્ધ કરાવવી.
ન્યૂઝક્લિક વિવાદમાં આરોપ લાગ્યા કે તેને ચીન સાથે જોડાયેલા સ્રોતો દ્વારા ફંડ પ્રાપ્ત થયું, જેનો ઉદ્દેશ્ય દેશમાં સરકાર વિરોધી વિમર્શને ઉત્તેજન આપવાનું હતું. લોકસભા ચૂંટણી સમયે માઇક્રોસોફ્ટે ડીપફેક અને એઆઇના ખોટા ઉપયોગ દ્વારા ચીન તરફથી ભારતીય ચૂંટણીઓને લઇને ખતરા પ્રત્યે સચેત પણ કર્યા હતા. આ તથ્યને અલિક્ષત ન કરી શકાય કે અમેરિકાએ ચૂંટણીઓમાં મતદારોની ભાગીદારી વધારવાના નામે જે અનુદાન રોક્યું છે, તે અત્યાર સુધી કોઈને કોઈ હાથમાં તો જતં જ હશે અને કોઈને કોઈ રીતે એ ખર્ચ પણ થતું હશે.
વિદેશી દખલનો અદૃશ્ય હાથ ન માત્ર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરે છે, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક ગંભીર ખતરો છે. તેથી જ્યાં સુધી વિગતોની તપાસ ન થાય ત્યાં સુધી આશંકાઓ તો ઊભી જ રહેશે. તેમાં શંકા નહીં કે લોકતાંત્રિક પ્રક્રિયાઓની પવિત્રતાની રક્ષા કરીને જ ભારત એ સુનિશ્ચિત કરી શકે છે કે વિકાસ અને પ્રગતિની તેની રાહ વિદેશી ચાલોને બદલે પોતાના જ લોકોની ઇચ્છાથી નિર્દેશિત હોય. એવામાં જરૂરી છે કે તમામ રાજકીય પક્ષો દેશની સંપ્રભુતા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાની રક્ષા માટે એકજૂટ થાય. સરકાર અને ચૂંટણી પંચ સાઇબર સુરક્ષા અને ડિજિટલ નિરીક્ષણ વધારે અને નાગરિકો એટલા જાગૃત તો બને જ કે તેઓ સોશ્યલ મીડિયા પર ફેલાવાતી ભ્રામક માહિતીઓના જાળમાં ન ફસાય.