હાલના દિવસોમાં જજોની શાખ ખતરામાં પડેલી છે. એક તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક જજના આવાસ પરિસરમાં મળેલી અધબળેલી રોકડ નોટો મામલે ન્યાયપાલિકામાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનાં ઊંડાં મૂળ પર વાત થઈ રહી છે, તો બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટના એક જજની દુષ્કર્મ પર અસંવેદનશીલ ટિપ્પણીને કારણે કાયદો અને તેની વ્યાખ્યાને લઈને તેમની સમજ પર પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે અને આવી અમાનવીય ટિપ્પણી પાછળ ભ્રષ્ટ આચરણની શંકા પણ નકારી ન શકાય.
સર્વોચ્ચ અદાલતે બંને મામલે સક્રિયતા દેખાડીને ન્યાય પ્રત્યે જનમાનસના વિશ્વાસને જાળવી રાખવાની કોશિશ કરી છે. દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના આવાસ પરિસર પર મળેલ અધબળેલી નોટોની તપાસ ઝડપથી ચાલી રહી છે, ત્યાં જ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણી પર નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણીઓને અસંવેદનશીલ અને અમાનવીય ગણાવી અને બળાત્કાર સંબંધી હાલના દૃષ્ટિકોણ પર આકરો વાંધો ઉઠાવતાં રોક લગાવી દીધી. અલ્હાબાદ હાઇકોર્ટે ગત ૧૭ માર્ચે એક આદેશમાં કહ્યું હતું કે માત્ર સ્તન પકડવા અને પાયજામાનું નાડું તોડવું બળાત્કારના અપરાધના દાયરામાં નથી આવતું. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની પીઠે તેને ‘બેહદ ગંભીર બાબત’ ગણાવી.
દુષ્કર્મ મુદ્દે આપણા અનેક નેતાઓ દ્વારા બકવાસ, અસંવેદનશીલ અને અમાન્ય ટિપ્પણીઓ કેટલીય વાર જોવા મળી છે, પરંતુ ન્યાયાલય તરફથી હંમેશાં કાયદાસંમત ટિપ્પણીની અપેક્ષા રાખવામાં આવે છે. જે દેશમાં મહિલાઓ વિરુદ્ઘ યૌન અપરાધના આંકડા ડરાવનારા હોય, એ દેશની કોઇ હાઇકોર્ટ પાસે આવી અસંવેદનશીલ ટિપ્પણીની આશા કેવી રીતે રાખી શકાય? સુપ્રીમ કોર્ટે કોઈ એવી વ્યવસ્થા બનાવવી જોઇએ, જેમાં નીચલી અદાલતથી લઈને ઉચ્ચ અદાલત સુધીના જજોની કાયદાને લઈને સમજ અને વ્યાખ્યાની નિયમિત સ્ક્રૂટિની કરી શકાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, ‘પેરેગ્રાફ ૨૧, ૨૪ અને ૨૬માં કરવામાં આવેલ ટિપ્પણીઓ કાયદાના સિદ્ઘાંતોથી સંપૂર્ણ રીતે અલગ છે અને અસંવેદનશીલ અને અમાનવીય દૃષ્ટિકોણવાળી છે, તેથી અમે એ ટિપ્પણીઓ પર સ્થગન આપવા માટે ઇચ્છુક છીએ.’ અસલમાં ‘વી ધ વુમન ઓફ ઇન્ડિયા’ નામના સંગઠને અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીઓને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના ધ્યાને લાવી, જેના પચી શીર્ષ અદાલતે આ મામલે સ્વતઃ નોંધ લીધી. હાઇકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર રોક લગાવવાનું લીગલ તાત્પર્ય એ છેકે કોઈ પ્રકારની કાયદાકીય પ્રક્રિયામાં તેનો આગળ ઉપયોગ નહીં કરી શકાય.
અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કાયદાસંમત યોગ્ય પગલું ભરવું જોઇએ. હાલમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ સંબંધિત કેસમાં નોંધ લેતાં શરૂ કરવામાં આવેલ કાર્યવાહીમાં કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્યને નોટિસ જારી કરી છે. ન્યાયના મંદિરમાં અસંવેદનશીલ ટિપ્પણીઓ પ્રત્યે કડક વલણ જરૂરી છે. ન્યાય પ્રણાલીમાં પારદર્શિતા, ગુણવત્તા અને યોગ્યતાની સ્થાપના અને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ માટે વ્યાપક સ્તર પર ન્યાયિક સુધારને લાગુ કરવા જોઇએ. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ અધિનિયમને લાગુ કરવા પર વહેલી તકે વિચાર કરવો જોઇએ. દેશના જજ પોતાની ંધારણીય અને ન્યાયિક જવાબદારીને સમજે અને આમ માનસના અદાલત પ્રત્યે વિશ્વાસને ખંડિત ન થવા દે.