દિલ્હીમાં ભાજપની સરકાર બનતાં જ કેજરીવાલ સરકારે અત્યાર સુધી દબાવી રાખેલો કેગનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો છે. કેજરીવાલ સરકારની શરાબ નીતિ પર કેગ (નિયંત્રક અને મહાલેખા પરીક્ષક)નો રિપોર્ટ આમ આદમી પાર્ટીને કઠેરામાં ઊભો કરનારો જ નહીં, બલ્કે તેને બેનકાબ કરી નાખનારો પણ છે. કેગના આ રિપોર્ટ અનુસાર મનમાફક રીતે બનાવેલી શરાબ નીતિથી ૨૦૦૨ કરોડ રૂપિયાથી વધારેના રાજસ્વનું નુક્સાન થયું. કેગે માત્ર એટલું જ નથી કહ્યું કે શરાબ નીતિને મનમાફક રીતે તૈયાર કરવામાં આવી અને અમલમાં મૂકી દેવામાં આવી, બલ્કે એના પર પણ પ્રકાશ પાડ્યો છે કે કઈ રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક લોકોને અયોગ્ય લાભ પહોંચાડવામાં આવ્યો અને તેને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું. કેગનો રિપોર્ટ એક રીતે એ બહુચર્ચિત શરાબ કૌભાંડની પુષ્ટિ કરી રહ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને જેલમાં જવું પડ્યું હતું. કેજરીવાલ આણિ મંડળીએ આ કૌભાંડને છૂપાવવાના લાખ પ્રયત્નો કર્યા, તેની જાણ એના પરથી થાય છે કે કેગે શરાબ નીતિ પર પતોાનો રિપોર્ટ માર્ચ ૨૦૨૪માં જ સોંપી દીધો હતો, પરંતુ તેને વિધાનસભામાં રજૂ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો. કોઇપણ સમજી શકે છે કે કટ્ટર ઇમાનદાર કેજરીવાલે આવું કેમ કર્યું હશે? સમસ્યા માત્ર એ નથી કે શરાબ નીતિ પર કેગના રિપોર્ટને વિધાનસભામાં રજૂ જ ન કરાયો, બલ્કે એ પણ છે કે અન્ય કેસોમાં પણ તેના રિપોર્ટો દબાવી દેવામાં આવ્યા.
કેગના એક નહીં, કુલ ૧૪ રિપોર્ટ છે, જેને વિધાનસભામાં રજૂ કરવામાં આનાકાની કરવામાં આવી. તેમાંથી એક રિપોર્ટ કોવિડ કાળમાં મુખ્યમંત્રી આવાસ જે હાલમાં ‘શીશમહેલ’ તરીકે વધુ પ્રખ્યાત છે, તેની વિલાસિતાપૂર્ણ સાજસજ્જામાં સરકારી નાણાંના ભારે વેડફાટનો પણ છે. આ બધાથી એક જ ચીજ સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીએ નવા પ્રકારની રાજનીતિ કરવા, ખુદને કટ્ટર ઇમાનદાર દેખાડવા અને સુશાસનના ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવાની જે મોટી મોટી વાતો કરી હતી અને જેનાથી શરૂઆતમાં લોકો અંજાઈ ગયા હતા, તે નિતાંત પોકળ હતી. હવે એ વધુ આસાનીથી સમજ શકાય છે કે છેલ્લા બે દિવસથી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો શું કામ હોબાળો મચાવી રહ્યા છે. કારણ કે આ હોબાળો સાવ ક્ષુલ્લક કારણોસર મચાવાઈ રહ્યો છે, તેથી એ અનુમાન લગાવવું મુશ્કેલ નથ કે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય જનતાનું ધ્યાન આ રિપોર્ટ પરથી ભટકાવવાનું છે, પરંતુ હવે એવી પેંતરાબાજી ચાલવાની નથી. આમ આદમી પાર્ટી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવીને તેમનું અપમાન કરવામાં આવ્યું તે સદંતર ખોટો સાબિત થયો, જનતાને એ પણ યાદ આવી ગયું કે એ અરવિંદ કેજરીવાલ જ હતા, જેમણે ખુદને બંધારણપ્રેમી અને ક્રાંતિકારી સાબિત કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી દીધો હતો. શું આંબેડકરનું નામ લઈને પોતાને બંધારણના રક્ષક ગણાવનારા કેગના રિપોર્ટો દબાવી રાખવાને પણ બંધારણસંમત ગણતા હશે?