Gandhinagar,તા.15
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલ બોર્ડની પરિક્ષાના પરિણામો તાજેતરમાં જાહેર થયા છે. દર વર્ષે વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તે માટે શિક્ષણ બોર્ડ પુરક પરીક્ષા લે છે.
અગાઉ ધો. 10માં 3, ધો. 12 સામાન્ય પ્રવાહમાં બે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોમાં ગેરહાજર રહેનાર કે નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષાનું આયોજન કરાતુ હતુ. પરંતુ આ વર્ષે બોર્ડ દ્વારા વિદ્યાર્થી ઈચ્છે તો તમામ વિષયોની પરીક્ષા ફરીથી આપી શકે તે માટે બેસ્ટ ઓફ ટુ યોજના અમલી બની છે. જેમાં નાપાસ થયેલા, ગેરહાજર રહેનાર ઉપરાંત પોતાના પરીણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થી તમામ વિષયોની પરીક્ષા આપી શકે છે.આગામી જુન માસમાં લેવાનાર પુરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની ધો. 10 માટે તા. 13 થી 20 મે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા સમાન્ય પ્રવાહ માટે તા. 12મીથી 19મી મે દરમિયાન ફોર્મ ભરી શકાશે.
પુરક પરીક્ષા માટે ફોર્મ બોર્ડની વેબસાઈટ પર શાળા દ્વારા જ ભરી શકશે. ફોર્મ ટપાલથી કે રૂબરૂ ભરી શકાશે નહી. સામાન્ય રીતે દર વર્ષે ધો. 10, ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા જુલાઈ માસમાં યોજાતી હતી. પરંતુ ગત વર્ષથી જુન માસમાં પુરક પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવામાં આવી રહી છે.બોર્ડની પુરક પરિક્ષામાં ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફીમાંથી મુકતી અપાઈ છે. જોકે, આ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવુ ફરજિયાત છે તેવુ પણ બોર્ડ દ્વારા જણાવાયુ છે.બોર્ડ દ્વારા પરીણામોમાં બેસ્ટ ઓફ ટુ સીસ્ટમ જાહેર કરાઈ છે. જેમાં ઓલ સબ્જેકટની પરીક્ષા છાત્ર બીજીવાર આપે તો માર્કશીટમાં બન્ને પરીક્ષાના પરીણામો આવશે. જેમાં બેસ્ટ ઓફ ટુ માન્ય રહેશે.