આ દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવારની સાથે ફ્લાઇટમાં સવાર હતા
Ahmedabad, તા.૧૨
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બાંસવાડા જિલ્લા સાથે સંબંધિત એક દુઃખદ મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવાર સાથે ફ્લાઇટમાં સવાર હતા. પ્રતીક જોશી આશરે છ વર્ષ પહેલાં લંડન શિફ્ટ થઈ ગયા હતા. હવે તે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રીતે વસવાટ માટે લંડન જઈ રહ્યા હતા.
પ્રતીક જોશીની પત્નીનું નામ ડો. કોમી વ્યાસ છે. તે એક ડોક્ટર હતી અને તેણે બે દિવસ પહેલાં જ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું, જેથી તે લંડનમાં નવી શરૂઆત કરી શકે. આ પરિવારમાં ત્રણ બાળકો છે. જેમાં બે જોડિયા દીકરીઓ છે અને બંનેની ઉંમર પાંચ વર્ષ છે.
આખો પરિવાર લંડનમાં સ્થાયી થવાના ઇરાદે આ ફ્લાઇટમાં સવાર થયો હતો. પ્રતીકની લાંબા સમયથી યોજના હતી કે, તે હવે પત્ની અને બાળકોને પણ લંડન લઈ જાય અને એક સાથે નવી જિંદગીની શરૂઆત કરે. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. વિમાન દુર્ઘટનાએ આખા પરિવારની ખુશીઓ થોડી જ ક્ષણોમાં ભરખી લીધી.
આ અંગે જાણકારી સામે આવ્યા બાદ બાંસવાડામાં પ્રતીક જોશી અને તેના પરિવારના સંબંધીઓમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તમામ લોકો આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છે. પ્રતીક અને કોમી બંને ભણેલા-ગણેલા અને મહેનતી દંપતી હતું.