Junagadh,તા.01
વિસાવદર તાલુકાના રૂપાવટીની એક મહિલા એક વર્ષથી ગુમ હતી. તપાસ દરમ્યાન મહિલાને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ શાતીર શખ્સે પોલીસને ગુમરાહ કરી હતી. આખરે એલસીબીએ આ શખ્સની પૂછપરછ કરી સવાલોનો મારો ચલાવ્યો હતો અને આ યુવકે એક વર્ષ પહેલાં પરિણીત પ્રેમિકાથી છુટકારો મેળવવા તેની હત્યા કરી લાશ બગસરા તાલુકાના હડાળાની સીમમાં એક અવાવરૂ કૂવામાં ફેંકી દીધાની કબૂલાત આપી હતી. એલસીબીએ આ સ્થળે જઇ કુવામાંથી મહિલાના અવશેષ કબ્જે કર્યા છે. આમ, એક વર્ષ બાદ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના રૂપાવટી ગામમાં રહેતા દયાબેન વલ્લભ સાવલીયા (ઉ.વ. 35) તા. 2-1-2024ના ઘરેથી 9.03 લાખના દાગીના અને 30,000 રૂપિયા રોકડા લઈ કોઈને કહ્યા વિના જતી રહી હતી. આ અંગે વલ્લભભાઈ સાવલીયાએ જાણ કરતા વિસાવદર પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દયાબેનને 11 વર્ષનો એક પુત્ર હોવાથી તેને તેની માતા મળે એ માટે પોલીસ દ્વારા દયાબેનની શોધખોળ માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં દયાબેનને રૂપાવટીના હાદક ધીરૂ સાવલીયા સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના બાતમીદારો અને ટેકનિકલ સ્ત્રોત મારફત પણ હાદક સુખડીયા તરફ જ શંકાની સોઈ ચીંધાતી હતી. હાદકની પૂછપરછ કરતા તેણે દયાબેનને રાહુલ નામના યુવક સાથે પ્રેમ હોવાથી તેણી તેની સાથે ભાગી ગઈ છે અને તેમાં પોતે મદદ કરી છે બીજી કોઈ જાણ નથી એવું રટણ કર્યું હતું. આ શખ્સે બનાવ જાહેર થયો ત્યારથી મોબાઈલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. પોલીસે તેનો ગાંધીનગર ખાતે મનોવૈજ્ઞાાનિક ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં પણ હાદકે સુખડીયા પોતાની મજબુત માનસિકતાના કારણે હકીકત સામે આવવા દીધી ન હતી. આથી આ કેસ પોલીસ માટે પડકારજનક અને કઠિન બની ગયો હતો.આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી તેમાં સમગ્ર બાબત હાદક સુખડીયા તરફ ઈશારા કરી ત્યાં અટકી જતી હતી પરંતુ એફ.એસ.એલ.નો અભિપ્રાય પણ હાદક શકમંદ ન હોવાનો હોવાથી આ કોકડું વધુ ગુંચવાયું હતું. એલસીબીએ હાદક સુખડીયાને કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરતા પ્રથમ તો કોઈ કૃત્ય કર્યું નથી એવી વાત કરી હતી. બાદમાં એલસીબીએ સવાલોનો મારો ચલાવી કેટલાક પુરાવા બતાવ્યા હતા. આખરે હાદક સુખડીયા ભાંગી પડયો હતો અને પોતે જ દયાબેનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. બાદમાં હાદક સુખડીયા એલસીબી સમક્ષ પોપટ બન્યો હતો અને જણાવ્યું હતુ કે તેને અને દયાબેનને પ્રેમ સંબંધ હતો, ગામમાં સાથે રહી શકે એમ ન હતો છતાં દયાબેન તેની પાછળ પડી હતી. આથી તેનો કાંટો કાઢવા માટે બગસરા તાલુકાના હડાળા ખારી વચ્ચે પથ્થર મારી હત્યા કરી દયાબેનની લાશને અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી.