વ્યાજે લીધેલી રકમ સિક્યુરિટી પેટે વૃદ્ધે નિકોલમાં આવેલી પોતાની ચાર દુકાન વ્યાજ આપનારને વેચાણ કરાર કરી આપી હતી
Ahmedabad, તા.૨૨
મણિનગરમાં રહેતા વૃદ્ધ તેના સગા ભાઈ સાથે ભાગીદારીમાં કાપડનો ધંધો કરે છે અને જમીન દલાલીનું કામકાજ પણ કરે છે. છ વર્ષ પૂર્વે વૃદ્ધને ધંધામાં નુકસાન થતા વૃદ્ધ અને તેનો ભાઈ પાયમાલ થઈ ગયા હતા. વૃદ્ધે તેના મિત્રો મારફતે ઓઢવમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા શખ્સની મુલાકાત લીધી હતી. વૃદ્ધે ૫ ટકાના વ્યાજે કુલ ૫૬.૭૦ લાખ ૫ ટકા લઇ ૧.૧૦ કરોડ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજખોર વધુ રૂપિયાની માગણી કરીને નિકોલમાં આવેલી ૫ દુકાન સિક્યુરિટી પેટે લીધા બાદ પાછી આપતો ન હતો. વૃદ્ધે આ મામલે વ્યાજખોર વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.મૂળ ભાવનગરના વતની હરેશભારથી ગોસ્વામી (ઉં.૫૩) મણિનગરમાં રાજેન્દ્ર પાર્કમાં ભાડેથી મકાન રાખીને પરિવાર સાથે રહે છે અને જમીન દલાલીનું કામકાજ કરે છે. તેમના ભાઈ સાથે તે ભાગીદારીમાં કાપડનો ધંધો પણ કરે છે. ૨૦૧૯માં વૃદ્ધને ધંધામાં નુકસાન થયું હતું. મિત્રને વાત કરતા ઓઢવમાં લક્ષ્મીનગરમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા હરદીપસિંહ જાડેજાનો સંપર્ક કરીને વૃદ્ધે વ્યાજે ૧૫ લાખ લીધા હતા. વ્યાજે લીધેલી રકમ સિક્યુરિટી પેટે વૃદ્ધે નિકોલમાં આવેલી પોતાની ચાર દુકાન વ્યાજ આપનારને વેચાણ કરાર કરી આપી હતી. ત્યારબાદ વૃદ્ધને ધંધામાં વધુ રૂપિયાની જરૂરિયાત ઊભી થતા આરોપી હરદીપસિંહ પાસેથી વૃદ્ધે ૫ ટકા વ્યાજે બીજા ૫.૭૦ લાખ રૂપિયા લીધા હતા. ૨૦૧૯થી ૨૦૨૨ સુધીમાં આરોપી હરદીપસિંહ જાડેજા પાસેથી કુલ રૂ.૫૬.૧૬ લાખ ૫ ટકાના વ્યાજે લીધા હતા. વૃદ્ધે ૧.૧૦ કરોડ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હતા તેમ છતાં હરદીપસિંહે વૃદ્ધની નિકોલમાં આવેલી ૫ દુકાન પચાવી પાડી હતી. તદુપરાંત વૃદ્ધ પાસે વધુ વ્યાજ સહિતની રકમ માગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વૃદ્ધે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં હરદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.