Bhavnagar,તા.02
ભાવનગર – વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ નજીક ગુરૂવારે કાર અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત થયાં છે. અલગ-અલગ બે કારમાં એક પરિવારના પાંચ સભ્યો અમદાવાદથી બાબરા આવી રહ્યાં હતા, ત્યારે એક કારને અકસ્માત નડયો હતો અને તેમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં આઈસર વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગતો પ્રમાણે મુળ લાઠી તાલુકાના મતિરાળા ગામના વતની છેલ્લા ઘણાં સમયથી બાબરા ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ગુરૂવારે તેમના પૌત્ર જયભાઈ, એકતાબેન સાથે જીજે-06-પીડી-0925 નંબરની કારમાં તથા અન્ય એક કારમાં ધ્રુવભાઈ તથા તેમના પત્નિ દ્રષ્ટિબેન અમદાવાદથી બાબરા ખાતે આવી રહ્યાં હતા. ત્યારે વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પહેલા આવતા નાળા પાસે વલ્લભીપુર તરફથી આવી રહેલા આઈસર વાહને તેમની કાર સાથે અકસ્માત સર્જતા કારમાં સવાર જયભાઈ, એકતાબેન તથા ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.