Lucknow,તા.15
બિહારના બેગુસરાઈથી દિલ્હી જઈ રહેલી ખાનગી સ્લીપર બસ આગની લપેટમાં આવ જતા પાંચ મુસાફરો જીવતા ભડથુ થઈ ગયા હતા અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઉતરપ્રદેશના લખનઉ ખાતે કિસાન પથ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હોવાનું જાહેર થયુ છે. આગ લાગવા છતાં બસ એક કિલોમીટર સુધી દોડતી રહી હતી.
આગના લબકારા દેખાતા ડ્રાઈવર-કન્ડકટર બસમાંથી કુદીને ભાગી ગયા હતા અને પ્રવાસીઓ લપેટમાં આવી ગયા હતા. દુર્ઘટના સ્થળે આસપાસના લોકો તથા પોલીસે પહોંચીને કાચ-બારી તોડીને મુસાફરોને બહાર કાઢયા હતા. અર્ધા કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં એવુ બહાર આવ્યુ હતું કે બસમાં 80 પ્રવાસી હતા. તેમાંથી બે બાળકો, બે મહિલા તથા એક પુરૂષ ભડથુ થઈ ગયા હતા. વ્હેલીસવારે પાંચ વાગ્યે દુર્ઘટના બનતા પ્રવાસીઓ ભરઉંઘમાં હતા એટલે બચાવની કોઈ તક પણ રહી ન હતી.
આ ઉપરાંત આગને કારણે બસનો દરવાજો પણ જામ થઈ ગયો હતો એટલે પણ પ્રવાસીઓ બહાર નિકળી શકયા ન હતા. ઈમરજન્સી દરવાજો પણ ખુલી ન શકતા પાછળની સીટોમાં રહેલા મુસાફરો ભોગ બન્યા હતા.