અપ્રમાણસર મિલકતના ગુનામાં જામીન અરજીની તા. 9 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે
Rajkot,
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા 15 આરોપી પૈકીના મહાપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બંને ગુનામાં જેલ હવાલે રહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અગ્નિકાંડ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે અપ્રમાણસર મિલકતના કેસમાં કરેલી જામીન અરજીમાં મુદત પડી છે. આગામી 9 મી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત તા. 28/5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવ માટે ફાયર બ્રિગેડ સહિતના વિવિધ તંત્રોની ગુનાહિત બેદરકારી બેજવાબદારી બહાર આવતા અધિકારીઓ સહિત કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસરની પુષ્કળ મિલકતો ભેગી કરી હોવાનું ખુલતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા સામે એસીબી તંત્રએ પણ ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હતો. અગ્નિકાંડ અને અપ્રમાણસર મિલકતના ગુનામાં જેલ હવાલે રહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબાએ બંને જુદા જુદા કેસમાં કરેલી જામીન અરજીઓ સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાએ બંને કેસમાં જામીન મુક્ત થવા પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. અગ્નિકાંડ કેસમાં કરેલી જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અ દાલતના ચુકાદાને ધ્યાને લઈ હાઇકોર્ટે અગ્નિકાંડ કેસમાં કરેલી જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. જ્યારે અપ્રમાણસર મિલકતના ગુનામાં કરેલી જામીન અરજીમાં મુદત પડી છે આગામી 9મી એપ્રિલના રોજ અપ્રમાણસર મિલકતની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશેઆ કેસમાં હાઇકોર્ટમાં સ્પે. પીપી વિરાટ પોપટ, સેશન્સ કોર્ટમાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.