Jamnagar તા.૧૬,
જામનગર જિલ્લાની મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી દ્વારા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા તથા દરિયો ન ખેડવા જણાવેલ હતુ. તથા અન્ય સુચના ન મળે ત્યાં સુધી ટોકન ઇસ્યુ કરવાનુ પણ બંધ કરવામાં આવેલ હતુ. પરંતુ વર્તમાન પરીસ્થિતીને ધ્યાને લઈ અગમચેતીના પગલાં કડકપણે અનુસરવાને આધિન માછીમારી બોટોને માછીમારી કરવા માટે જવા દેવા ટોકન ઈસ્યુ કરવાના ચાલુ કરેલ છે.
માછીમારી બોટોને સંવેદનશીલ “નો ફીશીંગ ઝોનમાં” તથા આઈ.એમ.બી.એલ. ઓળંગીને/ આઈ.એમ.બી.એલ. થી ૪૦ નોટિકલ માઈલ સુધીના વિસ્તારોમા માછીમારી કરવા જવું નહી. કોઈપણ બોટોને આ વિસ્તારોમાં માછીમારીની પરવાનગી માટે ટોકન ઈસ્યુ કરવામાં આવતા નથી. ઓનલાઈન ટોકન લઈ માછીમારી માટે જતી ફીશીંગ બોટોએ બોટમાં નિયમ મુજબ કલર કોડ કરવાનો રહેશે. બોટના તમામ દસ્તાવેજ જેવા કે રજી. સર્ટીફીકેટ, લાયસન્સ તથા તમામ ખલાસીના અસલ આધારકાર્ડ લઇને જ માછીમારી માટે જવાનુ રહેશે. માછીમારી બોટો દ્વારા સમૂહમાં માછીમારી કરવાની રહેશે. સંદેશા વ્યવહારના સાધનો ચાલુ રાખવાના રહેશે. જેથી આકસ્મિક પરીસ્થિતીની જાણ થઇ શકે.રાજ્યના દરીયામાં કે દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય કે કોઇ શંકાસ્પદ અજાણી વ્યક્તિ કે બોટ જણાય તો તેની તાત્કાલીક જાણ નજીકના ઇન્ડીયન નેવી/પોલીસ સ્ટેશન/કોસ્ટગાર્ડ કે અન્ય કોઈ સુરક્ષા એજન્સીને તથા અત્રેની કચેરીને કરવી. બોટોની ફીશરીઝ ગાર્ડ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે. જેમાં સહકાર આપવા તથા ઉપરોક્ત સૂચનાઓનું પાલન કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.