New Delhi,તા.17
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ બાદ માત્ર ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી દુર્ઘટનાઓ બની છે. અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં 7 લોકોના મોત નિપજયા હતા.
જયારે રવિવારે મહારાષ્ટ્રમાં પૂર્ણમાં એક પુલ ધસી પડવાથી બેના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. મથુરામાં ખડક ખસવાથી અનેક મકાનો પડી ગયા હતા, જેમાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. કેટલાક કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના
12મી જુને અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે.
કેદારનાથ પાસે હેલિકોપ્ટર ક્રેશ
કેદારનાથથી ગુપ્ત કાશી આવી રહેલું હેલિકોપ્ટર રવિવારે કેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. મૃતકમાં 23 મહિનાનું એક બાળક પણ હતું. હેલિકોપ્ટર ગૌરી કુંડના વિસ્તારમાં સવારે 5-30 વાગ્યે ક્રેશ થયું હતું. દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાનને બતાવાયું છે.
મહારાષ્ટ્રમાં પુલ ધસી પડવાથી બેના મોત
મહારાષ્ટ્રના કુંદામાલા ગામ પાસે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધસી ગયો હતો. જેના કારણે અનેક લોકો ફસાયા હતા. આ દુર્ઘટનામાં બેનાં મૃત્યુ થયા છે. જયારે 32 લોકો ઘાયલ થઈ રહ્યા છે. અનેક લોકો તણાઈ ગયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.
મથુરામાં ખડક ખસવાથી અનેક મકાન ધરાશાયી: ત્રણના મોત
મથુરામાં સિધ્ધ બાબા મંદિર પાસે ખડક ખસવાથી પાંચ મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અનેક લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. ચાર લોકોને કાટમાળમાંથી બહાર કઢાયા છે. તેમની હાલત ગંભીર છે.
ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં ચાર યુવક ડૂબ્યા
ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં અલગ અલગ ઘાટો પર દુર્ઘટનામાં ચાર યુવકો ડૂબ્યા હતા, જેમાંથી બેનો બચાવ થયો હતો, એક યુવકનું મૃત્યુ નિપજયું હતું જયારે એક યુગલ લાપત્તા છે.
વારંવાર થતી હેલિકોપ્ટર દુર્ઘટનાઓ રોકવા ઉત્તરાખંડ સરકારના સખત નિર્ણયો
દહેરાદૂનમાં સમન્વય કેન્દ્ર બનાવાશે
દહેરાદૂન: ઉત્તરાખંડમાં અવાર-નવાર હેલિકોપ્ટર દુર્ઘટનાઓ બને છે ત્યારે આ દુર્ઘટનાઓ રોકવા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનેક સખ્ત નિર્ણયો લેવાયા છે. હેલિ કોપ્ટર દુર્ઘટના રોકવા દહેરાદૂનમાં સમન્વય કેન્દ્ર બનશે.
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માર્ગ પર માત્ર એ પાયલોટોને જ હેલિકોપ્ટર ઉડાનની મંજૂરી આપવામાં જેમનો ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં ઉડાન ભરવાનો લાંબા અનુભવ હશે. હેલિકોપ્ટરના બહેતર સમન્વય અને સુરક્ષિત સંચાલન માટે દહેરાદૂનમાં એક કોમન કમાન્ડ તેમજ કો-ઓર્ડીનેશન સેન્ટર બનાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ સોમવાર સુધી ચાર ધામની યાત્રાને રોકી દીધી છે અને સખ્ત નિર્ણયો લેવાયા છે. આ સમય દરમિયાન હેલી ઓપરેટર અને પાયલોટોના ઉચ્ચ હિમાલય ક્ષેત્રોમાં ઉડાનના અનુભવોની તપાસ થશે ત્યારબાદ સેવા શરૂ કરવા પર નિર્ણય થશે.