Junagadh,તા.10
સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં 20થી 23 જૂન દરમ્યાન આર્દ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થવાનું અનુમાન છે. ત્રણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે, જેમાં પ્રથમ વાવણી અમરેલી પંથકમાં થવાની સંભાવના છે. આ ઉપરાંત નવરાત્રિ દરમ્યાન હસ્ત (હાથીયા) નક્ષત્રમાં પવન અને ગાજવીજ સાથે રથી ૧૦ ઈંચ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જૂન માસનું પ્રથમ સપ્તાહ વિતી ગયું છે. સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ થયો હતો ત્યારબાદ હાલ તાપ પડી રહ્યો છે. સત્તાવાર રીતે 15 જૂનથી ચોમાસું શરૂ થાય છે. ગત તા. 6 જૂનના અમુક વિસ્તારમાં વરસાદ થયો હતો, હવે સૌરાષ્ટ્રમાં 20થી 23 જૂન દરમ્યાન વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. ત્રણ તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે. જેમાં પ્રથમ વાવણી અમરેલી પંથકમાં થશે.
અવકાશની સ્થિતિ, પવનની દિશા, નક્ષત્ર, ઉતાસણી- અખાત્રીજના પવન, માગસર મહિનાના વાદળા, મહા મહિનાનું માવઠું, વનસ્પતિ, પશુ-પક્ષીની બોલીની ચેષ્ટા, ચૈત્ર માસના દનૈયા, જમીન પર રાફડાની કોરામણ સહિતના આધારે 35 વર્ષથી વરસાદનું પૂર્વાનુમાન કરતા વંથલીના વર્ષા વિજ્ઞાાન મંડળના સભ્ય રમણિકલાલ વામજાએ જણાવ્યું હતું કે, તા. 28 જૂનથી 1 જુલાઈ દરમ્યાન આર્દ્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ તેમજ ૬થી ૯ જુલાઈ દરમ્યાન પુનર્વસુ નક્ષત્રમાં અમુક વિસ્તારમાં વધુ વરસાદ, 16થી 19 જુલાઈ દરમ્યાન પુષ્ય નક્ષત્રમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાથી નદી-નાળામાં નવાં નીર આવવાની સંભાવના છે.
આ ઉપરાંત 27 જુલાઈથી 1 ઓગસ્ટ દરમ્યાન સૌરાષ્ટ્રમાં પવન અને ગાજવીજ સાથે, 9થી 12 ઓગસ્ટ દરમ્યાન સાધારણ વરસાદ, 19થી 22 ઓગસ્ટ દરમ્યાન મઘા નક્ષત્રમાં ભારે પવન સાથે સાધારણ વરસાદ, 1થી 4 સપ્ટેમ્બર દરમ્યાન સારો વરસાદ, 10થી 13 સપ્ટેમ્બર દરમ્યાન ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગાજવીજ સાથે બપોર બાદ મંડાણી વરસાદ, 20થી 25 સપ્ટેમ્બર દરમ્યાન બપોર બાદ પવન સાથે મંડાણી વરસાદ અને 1થી 10 ઓક્ટોબર દરમ્યાન નવરાત્રિમાં હસ્ત એટલે કે હાથીયા નક્ષત્રમાં પવન અને ગાજવીજ સાથે 2થી 10 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.