અમરેલી જિલામાં રાજુલા, સાવરકુંડલા, ધારી,ખાંભા સહિત લીલીયા વિસ્તામાં પડેલા વરસાદથી વિવિધ પાકોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે
Amreli તા.૮
ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. આ કમોસમી વરસાદના ખેડૂતોની મુશ્કેલી સૌરાષ્ટ્રભરમાં વધી રહી છે. ત્યારે અમરેલી જિલામાં રાજુલા, સાવરકુંડલા, ધારી,ખાંભા સહિત લીલીયા વિસ્તામાં પડેલા વરસાદથી વિવિધ પાકોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી ઊભી થતા અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહાયની માગ કરી છે. અમરેલી પૂર્વ સાંસદ નારણ કાછડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્રને લખી રજૂઆતો કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, ’ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કેરી, ડુંગળી, અને તલના પાકને પુષ્કળ નુકસાન થયું છે. જેથી ખેડૂતોને સહાય આપવા આવે.’ અમરેલી જિલ્લામાં ખેડૂતોની કેરી ડુંગળી તલ જેવા વિવિધ પાકોમ નુકસાન હોવાથી સરકાર સમક્ષ સહાય પેકેજ આપવા માટે ભાજપ નેતાઓ દ્વારા રજૂઆતો કરી માંગણી કરી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. બીજી બાજું વડોદરામાં બે ઈંચ વરસાદ ખાબકતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનનગરમાં ૨૫૦૦ હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુસાન થયું હતું. મહુવામાં ૭ ઈંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ પાલીતાણામાં વરસાદના કારણે ૨૫૦૦ હેક્ટર જેટલાં વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના આંબાને નુકસાન થયું હતું.