ગુજસીટોકના આરોપી એઝાજ ટકાએ શરૂ કરેલી ઘોડીપાસાની ક્લબ પકડાય
Rajkot,તા.૨૭
રાજકોટ પોલીસ દ્વારા ગુરુવારે એક ઘોડીપાસાની જુગાર ક્લબ ઝડપી લેવામાં આવી હતી. જેના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આ ક્લબમાંથી ઝડપાયેલા શખસો સામે નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે એકપણ આરોપીને આ કાયદા હેઠળ ઓન ટેબલ જામીન મળી શક્યા ન હતા. કોર્ટે તમામને જેલ હવાલે કર્યા હતા. આ રીતે જામીન ન મળવા તે ગુજરાતના ઇતિહાસમાં નવા કાયદા પછી પ્રથમ વખત બન્યું છે.
ગુજસીટોકના ગુનામાં જામીન પર છુટેલો એજાજ ઉર્ફે ટકો બેડી ગામથી હડમતીયા જવાના રસ્તે જાહેરમાં ઘોડીપાસાની કલબ ચલાવે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ભીસ્તીવાડના એજાજ ઉર્ફે ટકો અકબર ખીયાણી સહિત 8 શખસોની ધરપકડ કરી હતી.
દરમિયાન આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જુગાર જેવા ગુનામાં આરોપીઓને ઓન ટેબલ જામીન મળી જતા હોય છે પણ અહીંયા પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધ્યાને રાખી નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના પગલે કોર્ટે પણ તેઓની જામીન અરજી નામંજૂર કરી દેતા તમામને જેલ હવાલે કરાયા હતા.
એઝાજને ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવા કોર્ટમાં રિપોર્ટ કરાયો
એઝાજ ઉર્ફે ટકો ખોયાણી ગુજસીટોકના ગુન્હામાં જામીન પર બહાર આવ્યા બાદ તેણે ઘોડીપાસાની ક્લબ શરૂ કરી દેતા એલસીબી ઝોન-1ણી ટીમે દરોડો પાડી એઝાજ સહીત 8ને ઝડપી લીધા હતા. ત્યારે હવે આ મામલાણી એફઆઈઆરની નકલ મેળવી એસીપી રાધિકા ભારાઈએ એઝાજના જામીન રદ્દ કરવા ગુજસીટોકની ખાસ અદાલતને રિપોર્ટ કર્યો છે.