Jamnagar તા. ૨૨
જામનગર શહેર અને જિલ્લામાં હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુ ના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ધ્રોલના એક ગેરેજ સંચાલકને પોતાના ઘેર મોડી રાત્રે હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને હાર્ટ ફેઈલ થઈ જતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. ધ્રોળમાં સનસીટી વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા કમલેશભાઈ વૃજલાલભાઈ પંચાસરા નામના ગેરેજ સંચાલક પોતાના ઘેર સૂતા હતા જે દરમિયાન મોડી રાત્રીના તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપડયો હતો, અને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ફરજ પર ના તબીબે તેનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર મોહીલ કમલેશભાઈ પંચાસરા એ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાડેજા ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.