Lucknow,તા.29
`આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આકરી પ્રતિક્રિયા આપી હતી. બલરામપુરમાં સીએમ યોગીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે `ગઝવા-એ-હિન્દ’ ભારતની ધરતી પર નહીં થાય.
યોગીએ કહ્યું કે, કેટલાક લોકો ભારતમાં રહે છે પણ `ગઝવા-એ-હિંદના’ સપના જુએ છે. તેમના સપનાઓ જહન્નમ (નરક)માં જવા માટે તેમનો માર્ગ નિશ્ચિત કરશે. વહેલા કે મોડા, તેઓ છાંગુર બાબા જેવા હાલ થશે. આપણે આવા દુષ્ટ લોકો સામે સતર્ક રહેવું જોઈએ.
યોગીએ બરેલી હિંસા પછી થયેલી કાર્યવાહીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે પણ કોઈ દુસ્સાહસ કરશે, તેને આ જ રીતે ફટકારવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે યાદ રાખજો! જ્યારે પણ દુસ્સાહસ કરશો, ત્યારે બરેલીની અંદર જે રીતે ફટકારવામાં આવ્યા છે, એનું જ પુનરાવર્તન થશે.
જો તહેવારોના ઉત્સવની વચ્ચે કોઈ વ્યક્તિએ તોફાન કે ઉપદ્રવ કરવાની કોશિશ કરી, તો તેમને એવી સજા આપવામાં આવશે કે તેમની આવનારી પેઢીઓ પણ ભૂલી નહીં શકે. જે લોકો આ માનસિકતા સાથે જીવી રહ્યા છે.
તેમણે પોતાની ગેરસમજ દૂર કરી લેવી જોઈએ. એ સમય ગયો જ્યારે રાજ્ય સરકાર આવા લોકોને સહન કરતી હતી. જે પણ વ્યક્તિ સુરક્ષાને હાથમાં લેવાનો પ્રયાસ કરશે, તેના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું, કેટલાક લોકોને શાંતિ સારી નથી લાગતી. `લાતોના ભૂત વાતોથી માનતા નથી.’ અમારી સંવેદનાઓ ગરીબ, યુવાનો, ખેડૂતો, દીકરીઓ અને વેપારીઓ માટે છે. તેમણે નબળા અને કાયર લોકો પર બાળકોના હાથમાં `આઈ લવ મોહમ્મદ’ના પોસ્ટર-તખ્તીઓ પકડાવવાનો આરોપ લગાવ્યો. આવા લોકો ન માત્ર પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, પરંતુ તે બાળકોનું જીવન પણ બરબાદ કરી રહ્યા છે.




