Gandhinagar,તા.11
ગાંધીનગરના પ્રમુખનગર ચાર રસ્તાથી થોડા મહાત્મા મંદિર તરફ જતા રોડ પર થયેલા એક ટ્રિપલ અકસ્માતમાં એક આઠ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં એક મીની ટ્રક અને એક રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેરના માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ખ માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં બાળકીનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ખ માર્ગ ઉપર આઈસર મીની ટ્રક અને રીક્ષા પાછળ જઈ રહ્યા હતા ત્યારે આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે મીની ટ્રક ડમ્પર સાથે અથડાઈ હતી અને તેની પાછળ આવી રહેલી રીક્ષા પણ મીની ટ્રક સાથે અથડાઈને પલટી ગઈ હતી. રીક્ષામાં સવાર સેક્ટર ૨૪ શ્રીનગરના ગીતાબેન ગોવિંદજી ઠાકોર તેમની બહેન ઉષા, જ્યોત્સનાબેન, અને પુત્રી કાવ્યા તથા જ્યોત્સનાબેનની પુત્રી શ્રેયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતા તમામને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કાવ્યાને ગંભીર ઈજાઓ થતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ગીતાબેનને પગમાં ફ્રેક્ચર અને અન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે તેમની બહેન જ્યોત્સનાબેનને મણકામાં ફ્રેક્ચર અને અન્ય ઈજાઓ થઈ હતી. ઉષાબેનને છાતી અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. શ્રેયાને સામાન્ય ઈજાઓ થતા તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. રીક્ષા ચાલક શશીકાંત પોપટભાઈ પરમાર રહે. તારાપુર અને મીની ટ્રક ચાલક ઉમેશ રોહિતલાલ યાદવને પણ ઈજાઓ થઈ હતી.