૬૦૦ને બદલે હવે પ્રવાસીઓએ ૬૯૯ રૂપિયા ચૂકવવા પડશે : વધતા ખર્ચ અને મેન્ટેન્સને પગલે કરાયો વધારો
Junagadh, તા.૨૭
હાલ જાહેર જનતા પર ચારેતરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગિરનાર પર્વત પર જવા રોપ-વે ના ભાડામાં પણ વધારો કરાયો છે. દિવાળી પહેલા ગિરનાર રોપ વેના ભાડામાં ૧૦ ટકા વધારો કરાયો છે. ગિરનાર પર્વત પર આવન જાવન માટે પહેલા ૬૦૦ રૂપિયા ભાડું વસૂલાતું હતું. પરંતું ૬૦૦ રૂપિયાને બદલે હવે પ્રવાસીઓએ રૂ.૬૯૯ ચૂકવવા પડશે.
ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડે ગિરનાર રોપ-વેનું ભાડું ૧૦% વધાર્યું છે. વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ વે ઓથોરિટી દ્વારા કરાયો વધારો છે. જોકે, જૂનાગઢના સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
વર્ષ ૨૦૨૨ માં ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટનો ભાવ ૭૦૦ રૂપિયા હતો. ગીરનાર રોપ વેની મુસાફરીમાં ૧૩% ય્જી્નો ઘટાડો થતા ટિકિટના ભાવ ઓછા કરાયા હતા. રોપ વેના આવન જાવન માટે ૭૦૦ રૂપિયાની જગ્યાએ ભાવ ઘટાડીને ૬૨૩ રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યારે બે વર્ષ બાદ હવે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ૨૫ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપ-વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આમ, જૂનાગઢમાં રોપ-વેના લીધે સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૨.૩૨ કિમી અને રૂા.૧૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. ૨.૩૨ કિ.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. રોપ-વે બનાવવામાં નિપૂણ ઉષા બ્રેકો કંપનીએ આ પ્રોજેકટનું નિર્માણ કર્યું છે. ૫૫૦૦ જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર કલાકનો સમય થતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનીટમાં પહોંચી શકાય છે.