ઇઝરાયેલે સીરિયા પર છેલ્લા ૪૮ કલાકમાં ૩૫૦ મિસાઇલ ઝીંકી દીધી છે, તેણે સીરિયાના મહત્ત્વના નૌકાદળ મથકો, બંદરો, અલ બાયદા અને લાતાકિયાને લક્ષ્યાંક બનાવ્યા છે
Syria, તા.૧૨
સીરિયામાં બશર અલ અસદની સત્તા ઉખડી જવાની સાથે જ હમાસ હિઝબુલ્લાહ સાથે લડવામાં રોકાયેલા ઇઝરાયેલે આશ્ચર્યજનક રીતે સીરિયા તરફ દોટ લગાવી છે અને ઇઝરાયેલ-સીરિયા વચ્ચેના બફર ઝોનમાં ઘૂસીને ગોલન હાઇટ્સ પરનો કબ્જો મેળવી લેતા આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે. તેમાં પણ ઇઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહુએ તેને હવે ઇઝરાયેલનો ભાગ ગણાવતા ઘેરા આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાત પડયા છે. તેની સાથે ઇઝરાયેલ હવે ગોલન હાઇટ્સ પરનો કબ્જો કાયમ રાખે તેવી સંભાવના વધી છે.ઇઝરાયેલના આ કબ્જાનો ળાન્સ સહિતના યુરોપીયન દેશો અને સાઉદી અરેબિયા, કતાર, જોર્ડન, ઇરાન, ઇરાક સહિતના એશિયન દેશોએ ભારે વિરોધ કર્યો છે. જ્યારે અમેરિકાએ ઇઝરાયેલનો આ કબ્જો કામચલાઉ હોવાનો ગણાવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે ઇઝરાયેલને પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે. આ જોતાં આગામી સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્ર સત્તા પર આવવાનું છે ત્યારે ઇઝરાયેલનો પગપેસારો મધ્યપૂર્વમાં વધુ ફેલાય તેવી પ્રબળ સંભાવના છે. ઇઝરાયેલે સીરિયા પરના હુમલા છતાં પણ ગાઝામાં હમાસ પર ત્રાટકવાનું બંધ કર્યું નથી. ગાઝામાં કરેલી એર સ્ટ્રાઇકમાં કુલ ૩૦ના મોત થયા હતા અને અનેક ઇજા પામ્યા છે. હવે ફક્ત અહીં સવાલ એટલો છે કે ઇઝરાયેલ હવે ગાઝાને કેટલું ખેદાનમેદાન કરશે. તે માનવતાવાદી સહાયને પણ અટકાવી રહ્યુ છે. ઇઝરાયેલે સીરિયા પર છેલ્લા ૪૮ કલાકમાં ૩૫૦ મિસાઇલ ઝીંકી દીધી છે. તેણે સીરિયાના મહત્ત્વના નૌકાદળ મથકો, બંદરો, અલ બાયદા અને લાતાકિયાને લક્ષ્યાંક બનાવ્યા છે. તેમા તેના ૧૫થી વધુ જહાજ ખતમ થઈ ગયા છે. ઇઝરાયેલે આ હુમલાને પોતાની સુરક્ષા માટે કરેલા હુમલા ગણાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે ભવિષ્યમા સીરિયા તરફથી કોઈ હુમલો ન આવે તે માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. પણ આંતરરાષ્ટ્રીય મંચ પર આ હુમલાના ઇરાદા અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલ સીરિયાની નબળી સ્થિતિ જોતાં ગોલન હાઇટ્સને છોડે તેમ લાગતું નથી. નેતન્યાહુએ તો રીતસરનો તેને ઇઝરાયેલનો વિસ્તાર જ જાહેર કરી દીધો છે.