Mumbai,તા.24
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી. આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે. હવે તો જલ્દી જ અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે.
બોલિવૂડમાં વીરુ, હીમેન, ધરમ પાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા. સલમાન, શાહરુખ, અમિતાભ સહિતની અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.

