Vadodara,તા.17
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન નીકળતી માટી જંગલી બાવળ તથા ઝાડી ઝાંખરા લોકો પોતાના ખર્ચે લઈ જઈ શકે તે માટે સરકારે મંજૂરી આપી છે.
મારેઠાથી કોટનાથ સુધી, કોટનાથથી વિદ્યાકુંજ સુધી, વિદ્યાકુંજથી કાશીબા હોસ્પિટલ અને કાશીબાથી દેણા ગામ સુધી ચાર તબક્કામાં કામગીરી દરમિયાન 19.16 લાખ ઘન મીટર માટી અને 236 હેક્ટરમાંથી જંગલી બાવળ વગેરે નીકળશે. આ બધી વસ્તુ કોર્પોરેશનના ચારેય ઝોનમાં નક્કી કરેલી ડમ્પીંગ સાઈટ ખાતે રાખવામાં આવનાર છે. જે કોઈ સંસ્થા અથવા વ્યક્તિને માટી જોઈતી હોય તો પોતાના ખર્ચે લઈ જવા માટે વરસાદી ગટર પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયરને લેખિત અરજી કરવા જણાવ્યું છે. જંગલી બાવળ અને ઝાડી ઝાંખરા માટે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટરને અરજી કરવા સૂચના અપાઈ છે.