ઉત્તરપ્રદેશ હાયર એજ્યુકેશન સર્વિસ કમિશનના રોજિંદા વેતન આધારિત કર્મચારીઓની અપીલની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતા
New Delhi, તા.૨૭
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સરકાર બંધારણીય નોકરીદાતા છે અને આઉટસોર્સિંગ પર લોકોને નોકરી પર રાખીને તેમનું શોષણ કરી શકે નહીં. સરકાર નાણાકીય તંગી અથવા ખાલી જગ્યાઓના અભાવને ટાંકીને લાંબા ગાળાના એડહોક કર્મચારીઓને નિયમિત કરવાનો અથવા મૂળભૂત પગાર સમાનતાનો ઇનકાર કરી શકે નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે તાજેતરના ચુકાદામાં અવલોકન કર્યા હતાં કે નોકરી સહજ રીતે કાયમી હોય તેવા કિસ્સામાં અનિશ્ચિતતા ટકાવી અને નિષ્પક્ષ કાર્યપદ્ધતિની અવગણના કરવાની એક ઢાલ તરીકે આઉટસોર્સિંગનો ઉપયોગ કરી શકાય નહીં. સરકાર (અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને) માત્ર બજારની ખેલાડી નથી, પરંતુ એક બંધારણીય નોકરીદાતા છે. જેઓ સૌથી મૂળભૂત અને સતત સરકારી ફરજો બજાવે છે તેવા લોકોના ભોગે પોતાનું બજેટ સંતુલિત કરી શકે નહીં. જો કોઇ કામગીરી લાંબા સમય સુધી ચાલતી હોય તો સરકારે તે મુજબ કર્મચારીઓના સંખ્યાબળને મંજૂરી આપવી જોઇએ અને ભરતી કરવી જોઇએ.ઉત્તરપ્રદેશ હાયર એજ્યુકેશન સર્વિસ કમિશનના રોજિંદા વેતન આધારિત કર્મચારીઓની અપીલની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. કમિશને નાણાકીય તાણ અથવા ખાલી જગ્યાઓનો અભાવ જેવા કારણોસર તેમને નિયમિત કરવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ નાથે જણાવ્યું હતું કે નિયમિત નોકરીઓ પર લાંબા સમય સુધી કામચલાઉ કર્મચારીઓ રાખવાથી જાહેર વહીવટમાં લોકોના વિશ્વાસનું ધોવાણ થાય છે અને તેનાથી સમાન સુરક્ષાના હકનું પણ હનન થાય છે.