Kodinar,તા.4
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની કપરી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત ખેડૂતોના પડખે ઊભા રહેવા માટે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને માળિયા તાલુકાના વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતાં સ્પષ્ટ ખાતરી આપી કે, સરકાર ખેડૂતોની સાથે છે અને રહેશે, અને કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વપ્રથમ કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લીધી હતી. તેમણે કડવાસણ ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે રૂબરૂ વાતચીત કરી અને તેમના ખેતરોમાં જઈને પાકને થયેલા નુકસાનની સ્થિતિની જાત-સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, “સારામાં ન જઈએ તો કોઈ વાંધો નહીં પણ કપરી પરિસ્થિતિમાં મદદ એ જવું એ આપણી પરંપરા છે.” તેમણે ખેડૂતોને હિંમત આપતા કહ્યું કે, ખેડૂતો સિવાય ફરીથી મહેનત કરી પરિણામ મેળવવું બીજું કોણ જાણી શકે.
મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતરી આપી કે સરકાર દરેકને ન્યાય મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરશે. તેમણે અગાઉ દિવાળી દરમિયાન બનાસકાંઠાના ખેડૂતોને પણ મદદ પહોંચાડવામાં આવી હોવાનું યાદ અપાવ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની છે અને તેમને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રીની આ મુલાકાતમાં તેમની સાથે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડો.પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, શિવાભાઈ સોલંકી તાલુકાભરના સહકારી સંસ્થાના અગ્રણીઓ સરપંચો સહિતના સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ નેતાઓએ પણ ખેડૂતોને દિલાસો આપીને સરકારની મદદની ખાતરી આપી હતી.
કડવાસણની ટૂંકી મુલાકાત પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી અને તેમનો કાફલો માળિયા તાલુકાના પાણીદ્રા ગામની મુલાકાત લેવા માટે રવાના થયો હતો, જ્યાં પણ કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે.
આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રની પ્રખ્યાત જીંદાદીલીના દર્શન પણ થયા હતા. આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ હોવા છતાં, એક ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કાવ્યાત્મક રજૂઆત કરી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે તમામ ગુમાવ્યા પછી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોએ હિંમત હારી નથી અને તેઓ પુન:નિર્માણ માટે તૈયાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ લોકોને સંબોધન કરતાં વરસાદના અનિયમિત સમય અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું: “આમ આપણે વરસાદની રાહ જોતા હોઈએ. ભાઈ, વરસાદ સારો થાય તો આપણને બધા ને આખું વરસ શાંતિ રહે. પણ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી ચાલ્યો. સામાન્ય રીતે દિવાળી પછી તો વરસાદ ક્યાં હોય? નવરાત્રિ પહેલાં આ વરસાદી મોસમ પૂરી થઈ જતી હોય છે. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણે મુશ્કેલી, વધારે પડતી મુશ્કેલી તેને કહેવાય, તે સર્જાય છે.”
કોઈ રહી ન જાય એટલે છેવાડાના ગામ લીધું હોવાનું જણાવી “હું છેક થી ખેતર જોતો જોતો આવ્યો. થોડું છેવાડાના ગામ એટલા માટે લીધું કે અમે વચમાં જોતા જોતા આવ્યા, નહીંતર જો ત્યાંથી જોઈએ તો પાછળ રહી જાય. અહીં તમે જે પરિસ્થિતિ બતાડી, લગભગ દરેક ખેતરમાં ક્યાંકને ક્યાંક તેવી જ પરિસ્થિતિ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે, અમે તમારી સાથે રહીને કરીશું.”
“કહેવત છે કે ’કર્મમાં કોણ વાંચી શકે?’ એટલે જે આપણા હાથમાં નથી, પણ આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા, આપણે કોઈકના સારામાં ના ઊભા રહીએ કંઈ નહીં પણ એવા દુ:ખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ.” મુખ્યમંત્રીએ ફરીથી ખાતરી આપી હતી કે, “સારો નિર્ણય થશે બધાયનો આપણો. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહીને સારો નિર્ણય કરશે.”

