Mumbai,તા.16
જીએસટી વિવાદના એક કાનૂની જંગમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડવાન્સ ચુકવણી પર જીએસટી લાગુ પડે છે ઉપરાંત તેના પર ઈનપુટ ટેકસ ક્રેડીટનો દાવો થઈ શકતો હોવાનું સ્પષ્ટ કર્યું છે.
કેન્દ્ર સરકાર તથા લાર્સન એન્ડ ટુબ્રો જેવી કંપની વચ્ચેનો ટેકસ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું કે સપ્લાયની સંમતિ કરપાત્રની વ્યાખ્યામાં આવી જાય છે અને તે પેટે મળેલુ એડવાન્સ પેમેન્ટ પર જીએસટી લાગુ પડે છે. સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ કાયદા (સીજીએસટી)ની કલમ 7નું અર્થઘટન દર્શાવીને કરપાત્ર વ્યવહારોનો વ્યાપ સ્પષ્ટ કર્યો હતો.
આ ઉપરાંત હાઈકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે, કાયદાની કલમ 16 હેઠળ તે ઈનપુટ ટેકસ ક્રેડીટનો દાવો કરવા હકકદાર છે. સપ્લાયર દ્વારા અપાતા રીસીપ્ટ વાઉચરના આધારે ક્રેડીટ કલેઈમ કરી શકે છે.
કાયદાની કલમ 16(2)(બી) તથા કલમ 16(1)માં વ્યાપારી પ્રવૃતિમાં ઈનપુટ ટેકસ ક્રેડીટના દાવાની છુટ્ટ આપવામાં આવી જ છે. આઈટીસી નકારવાથી જીએસટી ફ્રેમવર્કમાં જ તકલીફ સર્જાઈ શકે છે.
ટેકનીકલ ખામી: GSTR 2-બીમાં કરદાતાઓને એક જ બીલ મળે છે
જીએસટી પોર્ટલ પર ટેકનીકલ ખામી હોય તેમ જીએસટીઆર 2બીમાં કેટલાંક કરદાતાઓને સપ્ટેમ્બર તથા ઓકટોબરમાં એકના એક ઈન્વોઈઝ મળી રહ્યા છે. જીએસટીએન દ્વારા ટવિટ કરીને એવુ જાહેર કરવામાં આવ્યું છે કે આ સમસ્યા દુર કરવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. કરદાતાઓને આવી સમસ્યા હોય તો ડાયરેકટ મેસેજથી જાણ કરવા કહેવાયુ છે.