પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી : નવા મંત્રીઓને આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા
Gandhinagar તા.૧૭
ગુજરાતમાં વર્ષ ૨૦૨૭માં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગુરુવારે પહેલા જૂના તમામ મંત્રીઓ પાસેથી પહેલા રાજીનામું લઈ લેવાયું હતું અને શુક્રવારે નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી સહિત ૨૬ નામોની યાદી જાહેર કરાઈ હતી. મુખ્યમંત્રીની નવી કેબિનેટમાં ૧૯ નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. જ્યારે ૬ મંત્રીઓને રિપીટ કરાયા છે. જ્યારે ૧૦ મંત્રીઓના પત્તા કાપી દેવાયા છે. મંત્રીમંડળના ૨૬ સભ્યોમાંથી ૨૧એ શપથ લીધા હતા. શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમને મંત્રીપદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકી અને કનુભાઈ દેસાઈએ શપથ લીધા નહોંતા. નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.
મંત્રીઓની પસંદગી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં ૮ ઓબીસી, ૪ પાટીદાર, ૪ એસટી અને ૩ એસસી નેતાઓને સ્થાન મળ્યું છે. આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે.
નવા મંત્રીમંડળમાં કોનો-કોનો સમાવેશ કરાયો : નવા મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ સહિત જે ૨૬ મંત્રીઓનો સમાવેશ કરાયો છે, તેમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. જ્યારે ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. તેમજ ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા, મનિષા વકીલને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અપાયો છે. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માલી, સ્વરૂપ ઠાકોર, જયરામ ગામીત, રિવાબા જાડેજા પીસી બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાને રાજ્ય કક્ષાના મંત્રીઓનું પદ અપાયું છે.
કોનું પત્તું કપાયું : જૂના મંત્રીઓમાંથી બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મૂળી બેરા, કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હળપતિનું પત્તું કપાયું છે.
કોને રિપીટ કરાયા : જૂના મંત્રીઓમાંથી હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનશેરિયા, પરસોત્તમ સોલંકીને રિપીટ કરાયા છે.
આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના વિસ્તરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ તેની અટકળોનો અંત આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી કોઈ એકને મંત્રી પદ મળે તેવી પ્રબળ સંભાવના વચ્ચે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલીમાં ભાજપના કાર્યકરો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કૌશિક વેકરિયાના કાર્યાલય કર્તવ્યમ પર કાર્યકરોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક છે, જેમને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેનાથી મંત્રીમંડળનું કદ વધ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નોંધનીય છે કે, આ શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા મંજૂરી માંગી હતી.
નવરચિત મંત્રીમંડળમાં કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો……
ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.
કેબિનેટ મંત્રીઓનું નવું માળખું : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં અનુભવી નેતાઓ જીતુ વાઘાણી અને નરેશ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી આવેલા અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા અર્જુન મોઢવાડિયાને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ જૂથમાં પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી જેવા નવા ચહેરાઓ પણ જોડાયા છે, જે પ્રાદેશિક અને સામાજિક સંતુલન જાળવવાનો સંકેત આપે છે. જોકે, અગાઉના કેબિનેટ મંત્રીઓ પૈકી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી તેઓએ શપથ લીધા ન હતા, પરંતુ તેઓ કેબિનેટ મંત્રીઓની યાદીમાં સ્થાન ધરાવે છે.
રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) : રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને ડૉ. મનીષા વકીલએ શપથ ગ્રહણ કર્યા છે. ડૉ. મનીષા વકીલની નિમણૂકથી મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને પણ મહત્વ મળ્યું છે.
રાજ્યકક્ષાના મંત્રીઓ : મંત્રીમંડળમાં બાર રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાંથી ઘણા નવા ચહેરા છે. આ જૂથમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, જેઓ પુલ દુર્ઘટના સમયે કરેલા રાહત કાર્ય માટે ચર્ચામાં રહ્યા હતા, તેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, સ્વરૂપ ઠાકોર, રિવાબા જાડેજા અને પી. સી. બરંડાએ પણ શપથ લીધા હતા. નોંધનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ આ કેબિનેટ વિસ્તરણમાં સ્થાન મળ્યું છે, જે યુવાનો અને મહિલાઓને તક આપવાની પક્ષની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તરણ દ્વારા ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક, જાતિગત અને યુવા નેતૃત્વનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
હવે જોવાનું એ રહેશે કે આ નવી ટીમ ગુજરાતના વિકાસના એજન્ડાને કેટલી ઝડપથી આગળ વધારી શકે છે. ખાસ વાત એ રહી કે નવા મંત્રીઓમાંથી મોટાભાગનાએ હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા હાથમાં રાખીને શપથ લીધા હતા. આ સાંસ્કૃતિક ભાવના રાજકારણમાં નૈતિક મૂલ્યોના આચરણ પર ભાર મૂકવાનો સંકેત આપે છે.