Ahmedabad,તા.૧૭
ખેડૂતો અને યુવાનોની રોજગારી મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૧ નવેમ્બરથી રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે, “જ્યાં સરકાર નહીં માને ત્યાં એની સામે લડાઈ લડવા માટે એમાં પરિવર્તન લાવવા માટે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ.”
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જન આક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતના ઢીમાથી થશે. રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ ચારેય ઝોનમાં આ યાત્રા કરશે. આગામી ૨૧ નવેમ્બરથી જન આક્રોશ યાત્રાના પ્રથમ ફેઝનું સમાપન ૩ ડિસેમ્બરના રોજ બેચરાજી મંદિર ખાતે થશે. યાત્રાના પ્રથમ ફેજમાં ૧૧૦૦ કિલોમીટરનું ભ્રમણ કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળા શાસનમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ છે. અમે ફિક્સ પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરાવીશું અને સમાન કામ સમાન વેતનનો અધિકાર અપાવીશું. રાજ્યને ભૂમાફિયા, ખનન માફિયા, શિક્ષણ માફિયા, મેડિકલ માફિયા અને ગુંડાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવીશું.
“ગુજરાતને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવીશું, ખોટી જમીન માપણી રદ કરાવીશું અને ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવીશું. ખેડૂતો મુસીબતમાં છે ત્યારે સરકાર પેકેજના નામે પડીકું આપે છે. અમે ખેડૂતોના દેવા માફી અને પાક વીમા યોજનાની માંગણીને પણ વાચા આપીશું.” — અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ થઈ રહ્યું છે. યુવાઓ શાળા-કોલેજમાં ભણવા લાખો રૂપિયા ખર્ચવા મજબૂર બની રહ્યા છે. એક બાજુ સરકાર યુવાઓને રોજગાર નથી આપત, બીજી તરફ રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓ, ગેરરીતિઓ થઈ રહી છે. વધુમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી નથી થતી. ત્યારે સરકારમાં ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી દ્વારા યુવાનોને રોજગારનો અધિકાર સુનિશ્ચિત કરાવીશું.

