Gandhinagar,તા.9
પોષણ પખવાડિયા 2025નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે. સ્વસ્થ જીવનમાટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે. સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ’પોષણ પખવાડિયા’ની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં તા. 8 થી 22 એપ્રિલ 2025 દરમિયાન ’પોષણ પખવાડીયું 2025’ ઉજવવામાં આવશે.
આજના બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે, તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, બાળકોને યોગ્ય પોષણ આપી તેમના સર્વાંગી વિકાસ કરવામાં આપણા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે. જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બનશે. તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ.
આ પ્રસંગે ICDS કમિશનર રણજીતકુમાર સિંહે સ્વાગત ઉદ્ભોદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે ભુલકાઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ,ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.