New Delhi,તા.01
કેન્દ્ર સરકારે સીગારેટ, પાન-મસાલા, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો પર લાગુ ઊંચા ટેક્સની વસૂલાત માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટી વધારવાની દરખાસ્ત કરી છે. જીએસટીના કર માળખામાં વ્યાપક સુધારાના પગલે કમ્પનસેશન સેસનો અંત આવ્યા પછી સિગારેટ, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો તથા સ્વાસ્થ્ય માટે હાનીકારક અન્ય ઉત્પાદનો પર વધારાનો સેસ સમાન સ્તરે જળવાઈ રહે તે માટે નાણામંત્રી સીતારામન સોમવારે લોકસભામાં નવો સ્વાસ્થ્ય સેસ અને સિક્યોરિટી સેસ રજૂ કરે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકારે જીએસટી માળખામાં નોંધપાત્ર સુધારો કરતા 22 સપ્ટેમ્બરથી નવા જીએસટી દર લાગુ કર્યા છે, જેમાં માત્ર પાંચ અને 18 ટકાના સ્લેબ છે. જીએસટી માળખામાં સુધારાના પગલે સીગારેટ, ગુટખા, પાન-મસાલા સહિતના તમાકુના ઉત્પાદનો પર લાગુ કમ્પનસેસન સેસ એટલે કે વળતર સેસનો અંત આવી રહ્યો છે. આવા સમયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે સેન્ટ્રલ એક્સાઈઝ સુધારા બિલ, 2025 અને સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ, 2025 લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટેડ કરાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ એક્સાઈઝ અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૫ સીગારેટ, ગુટખા, પાનમસાલા જેવા તમાકુ ઉત્પાદનો પર એક્સાઈઝ ડયુટીની વસૂલાત દ્વારા તમાકુ પર જીએસટી કમ્પનસેસન સેસનું સ્થાન લેશે. ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ’ પાન મસાલા પરના કમ્પનસેસન સેસને બદલી નાંખશે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય પર સુરક્ષા ખર્ચને પહોંચી વળવા માટે સંશાધનોમાં વધારો કરવા આ બિલ રજૂ કરાશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સેસના દરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાશે નહીં. હાલમાં જીએસટી હેઠળ તમાકુના ઉત્પાદનો પર જે સેસ લગાવવામાં આવે છે તે સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ લાગુ થશે. અહેવાલો મુજબ નવા એક્સાઈઝ બિલ હેઠળ 75 મીમીથી વધુ લંબાઈવાળી ફિલ્ટર સિગારેટ પર ચાર્જ પ્રતિ હજાર સ્ટિક રૂ. 735થી વધારીને રૂ. 11000 કરાયો છે. બીજીબાજુ 65-70 મીમીની નોન-ફિલ્ટર સિગારેટ પરનો ચાર્જ પ્રતિ હજાર સ્ટિક રૂ. 250 થી વધારીને રૂ. 4500 કરવાની દરખાસ્ત કરાઈ છે, જે અંદાજે 18 ગણો વધારો દર્શાવે છે. પાઈપ અથવા સિગારેટ માટે ઉપયોગમાં લેવાતા સ્મોકિંગ મિક્સચર પર ડયુટી 60 ટકાથી વધારીને 325 ટકા કરાશે.સરકારનું કહેવું છે કે વર્ષ 2017માં જીએસટી લાગુ થયા પછી તમાકુ ઉત્પાદનો પર જીએસટી કમ્પનસેસન સેસ લગાવતા ટેક્સનો ભાર વધે નહીં તે માટે સેન્ટ્રલ એક્સાઈઝ ઓછો રકાયો હતો. હવે આ સેસ ખતમ થવાનો છે. નવા એક્સાઈઝ માળખા મારફત આવક અને ટેક્સનું માળખું સ્થિર રખાશે.

