Vadodara,તા.૯
વડોદરા શહેરમાં ગત વર્ષે ચકચાર મચાવતી હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીના આદેશ બાદ પીડિતોને ન્યાય અપાવવા સઘન તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં મોટા ખુલાસા થયા છે. ફરિયાદ કરનાર જ દોષિત સાબિત થતાં આજીવન પ્રતિ માસ ૫૦૦૦ રૂપિયા પેન્શન કાપની સજા ફટકારી છે.
નોંધનીય છે કે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં કુલ ૧૯ લોકો સામે ગુનો નોંધાયો હતો. મુખ્ય કોન્ટ્રાક્ટર અને દુર્ઘટના સાથે સંકળાયેલા અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે હજુ ૬ આરોપીઓ ફરાર હતા. દુર્ઘટનામાં એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું કે લેક ઝોનના સંચાલકોની ગંભીર બેદરકારીના પગલે આ દુર્ઘટના બનવા પામી. એફએસએલ રિપોર્ટ થયેલા ખુલાસા મુજબ હરણી તળાવમાં બોટિંગ એક્ટિવિટી સમયે એક બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા.
બોટિંગ એક્ટિવિટીના નિયમ મુજબ બોટમાં આગાળના ભાગમાં કોઈ બાળકને નથી બેસાડવામાં આવતું. તેમજ બોટ પર સવાર તમામ લોકોને ફરજીયાત લાઈફ જેકેટ પહેરવાના હોય છે. જ્યારે હરણી તળાવમાં આ તમામ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું. ૧૫ બાળકો બેસાડવાની ક્ષમતા હતી ત્યાં કુલ ૩૦ જેટલા બાળકો બેસાડવામાં આવ્યા. આથી જ્યારે બોટે ટર્ન લીધો ત્યારે બોટ પલટી ખાઈ ગઈ. બોટ બનાવનાર કંપનીએ પણ માહિતી આપી કે અમારી બનાવેલ બોટની ક્ષમતા માત્ર એક ટન છે. જ્યારે દુર્ઘટના સમયે ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા. ઓવરલોડ થવાના કારણે શરૂઆત બાદ થોડા સમયમાં જ બોટ પલટી ખાતા આ દુર્ઘટના બનવા પામી હતી.મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે એસઆઇટીની રચના કરી હતી. જેમાં વડોદરા મનપાના તત્કાલિન એક્ઝીક્યુટીવ એન્જીનિયરે ફરિયાદ નોંધાવી હતી. બોટના કોન્ટ્રાક્ટર સામે એન્જી. રાજેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી. મનપા કમિશનર દિલીપ રાણાએ ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવતા આજીવન પ્રતિ માસ ૫૦૦૦ રૂપિયા પેન્શન કાપની સજા ફટકારી છે.