America,તા.31
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિરામનો શ્રેય લેતા વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થાય છે તો અમેરિકા કોઈપણ કરાર નહીં કરે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકા ભારત અને પાકિસ્તાન સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે. મને તેમના પર ગર્વ છે. અમે ગોળીઓની સિવાય વેપાર દ્વારા પરમાણુ યુદ્ધની આશંકાને રોકવામાં સફળ રહ્યા. બંને દેશો વચ્ચે યુદ્ધનો ઈતિહાસ રહ્યો છે. દર વખતે તે બંને ગોળીઓ બાદ સમાધાન કરવા પર રાજી રહ્યા છે. પરંતુ, અમે વેપાર દ્વારા સમાધાન કરાવ્યું, તેથી મને તેના પર ખૂબ જ ગર્વ છે. કોઈપણ આ વિશે વાત નહીં કરે. પરંતુ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ જ ખતરનાક સંઘર્ષ ચાલી રહ્યો હતો. તે બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. જોકે, હવે સ્થિતિ યોગ્ય છે.’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને જાહેરાત કર્યા બાદથી અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પર વાતચીત થઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારત અને અમેરિકા વચ્ચે 25 જૂન સુધી એક વચાગાળાના વેપાર કરાર પર સમજૂતી બની છે. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે પણ વેપાર વાટાઘાટોને ગતિ આપવા માટે ગત અઠવાડિયે વોશિંગ્ટનમાં હતા. આ દરમિયાન તે વાણિજ્ય સચિવ હૉવર્ડ લુટનિકને બેવાર મળ્યા.
બંને પક્ષ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના પ્રથમ તબક્કા પહેલા એક વચગાળાના વેપાર કરાર પર વિચાર કરી રહ્યા છે. અમેરિકા દ્વારા 2 એપ્રિલના દિવસે ભારત પર લાદવામાં આવેલો 26 ટકા પારસ્પરિક ટેરિફ આ વર્ષે 9 જુલાઈ સુધી સ્થગિત છે. જોકે, ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલ 10 ટકા બેઝલાઇન ટેરિફ હજુ પણ અમલમાં છે.
ટ્રમ્પે એરફોર્સ વનથી ઉડાન ભર્યા બાદ જોઇન્ટ બેઝ એન્ડ્રયુઝે કહ્યું કે, ‘પાકિસ્તાનના પ્રતિનિધિ આવનારા અઠવાડિયે આવી રહ્યા છે. અમે ભારત સાથે પણ કરારથી ખૂબ નજીક છીએ. જો તે એકબીજા સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છે તો મને કોઈની પણ સાથે કરાર કરવામાં કોઈ રસ નથી અને હું આ વિશે તેમને જણાવી દઈશ.’
ભારત તરફથી વારંવાર ખંડન કર્યા બાદ પણ 10 મેથી અત્યાર સુધીમાં 21 દિવસોમાં 10 વાર એવા નિવેદનો સામે આવ્યા છે, જેમાં ટ્રમ્પે કહ્યું હોય કે, અમેરિકાએ બંને દેશો વચ્ચેનું યુદ્ધ રોક્યું. શુક્રવારે ઈલોન મસ્કે અમેરિકન પ્રશાસનથી અલગ થયા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, મેં ભારત અને પાકિસ્તાનની લડાઈ રોકી.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સતત કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે ભારતે પોતાની વિદેશ નીતિને સ્પષ્ટ કરી દીધી છે. ખુદ વિદેશ મંત્રી એસ. જયશંકરે 22 મેના દિવસે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષ ખતમ કરવાને લઈને સંમતિ બનાવવામાં કોઈપણ ત્રીજા દેશની ભૂમિકા નથી. બંને દેશો વચ્ચે સીધી વાતચીતથી સંમતિ બની છે.’ વિદેશમંત્રીએ ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વિરામ પર ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાની ભૂમિકાને લઈને કરેલા દાવા બાદ આ વાત કહી હતી.