Rajkot, તા. 29
મનપા સ્ટે.કમીટીની આજે મળેલી મીટીંગ પૂર્વે ભાજપ પ્રમુખની હાજરીમાં યોજાયેલી સંકલનની મીટીંગમાં છેલ્લા થોડા દિવસોથી ટીપી શાખાએ બાંધકામોને આડેધડ નોટીસ આપવા શરૂ કરેલી કાર્યવાહીનો મોટો પડઘો પડયો છે.
ભાજપના કોર્પોરેટરોએ નવા-જુના, રહેણાંક સહિતના બાંધકામોને અપાતી નોટીસો માટે કમિશ્નરે શાસક પક્ષને સંકલનમાં લીધો છે કે નહીં તેવું પૂછીને ચૂંટણી વર્ષમાં આવા અનેક કામોથી મતદારો નારાજ થશે તેવી ચેતવણી પણ આપી દીધાનું જાણવા મળ્યું હતું!
ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડ બાદ રાજકોટમાં અનઅધિકૃત બાંધકામોને અપાયેલી ઢગલો નોટીસ છતાં ડિમોલીશન નહીંવત થવા અંગે જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછાયો હતો. હવે ડિમોલીશન કાર્યવાહીને બ્રેક વચ્ચે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ આસામીઓને હિયરીંગ માટે બોલાવવા ત્રણે ઝોનમાં નોટીસ ચાલુ છે.
આજે ભાજપ સંકલનમાં આ ઢગલાબંધ નોટીસ અંગેનો પ્રશ્ન શાસક પક્ષના કોર્પોરેટરોએ ઉપાડયો હતો. સભ્યોએ કહ્યું હતું કે નાના માણસોના નાના મકાનોને આવી નોટીસો મળી રહી છે. સામાન્ય રહેણાકમાં આવો ભયનો માહોલ કયારેય ઉભો થયો નથી. રહેણાંકમાં કયારેક બાંધકામમાં વધઘટ હોય છે. પરંતુ હવે તો દસ્તાવેજો સાથે હાજર રહેવાનું કહેવામાં આવતા નાગરિકો ડરી રહ્યા છે. શું આ માટે કમિશ્નરે પાર્ટીમાં કોઇ સાથે સંકલન કર્યુ છે? મેયર, ડે.મેયર અને પ્રમુખે આ અંગે તેમને કોઇ સત્તાવાર માહિતી નહીં હોવાનું કહ્યું હતું.
આ રીતે ટીપી શાખા મનઘડત રીતે નોટીસો આપે છે. ખાસ કરીને જુના રાજકોટના વિસ્તારો કે જયાં બાંધકામ નિયમો ન હતા ત્યારના બાંધકામ છે ત્યાં આવી નોટીસથી લોકો ધ્રુજી ગયાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
એક કોર્પોરેટરે કહ્યું હતું કે ગીચ વિસ્તારમાં આવી નોટીસો પહોંચી રહી છે. સામાન્ય મકાનધારક કે નાના દુકાનધારકને આટલા વર્ષો પછી રીનોવેશન કરવું પડે છે. અમુક બાંધકામના માલિકો બહારગામ કે વિદેશ છે. તેમને રાજકોટ દોડવું તે પ્રકારની નોટીસ છે. અમુક બાંધકામ 2022 પહેલાના છે. તેમાં ઇમ્પેકટ ફીના કાયદાની અમલવારી પણ પડકારજનક છે.
ચૂંટણી વર્ષમાં આવી નોટીસો લોકોને નારાજ કરે તેમ હોય, તાત્કાલીક કમિશ્નર સાથે મીટીંગ કરવા સૂચન કરાયું છે. આવતા સપ્તાહે આવું સંકલન થયું કે નહીં તે પણ કોર્પોરેટરો પૂછવાના છે. કારણ કે અનેક મોટા બાંધકામ સામે આંખ આડા કાન કરાઇ રહ્યા છે.
કોર્પોરેટરોએ ટેકસ વિભાગના અધિકારીઓને પણ બેસાડીને ચર્ચા કરી હતી. એપ્રિલથી બાકીદારોને હપ્તે વેરો ભરવાનો લાભ આપવાનો છે. માર્ચ મહિનામાં ટેકસ શાખાને અનેક આસામીએ એપ્રિલથી હપ્તા યોજનામાં ટેકસ ભરશે તેવું કહ્યું હતું પરંતુ ટેકસ શાખાએ આ વાત ન સાંભળીને પઠાણી ઉઘરાણીની જેમ વસુલાત કરી છે. વેરાના ટાર્ગેટને પાર પાડવા મિલ્કત ધારકોને કાયદાનો લાભ મળવાથી વંચિત રાખી દેવામાં આવ્યા છે. જો વેરામાં હપ્તા ભરી જ દેવાના હોય તો આવી માંગણી કેમ સ્વીકારવામાં ન આવી? આવા ઘણા પુરેપુરા વેરા અધિકારીઓએ વસુલી લીધા છે. મનપા સ્ટે.કમીટીની આજની મીટીંગમાં બે કામની દરખાસ્તમાં ડિસ્કવોલીફાઇડ એજન્સીના કારણે સમગ્ર ટેન્ડર રદ્દ કરી દેવા અને નવા ટેન્ડરથી કામમાં વિલંબ કરવાની અધિકારીઓની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સંકલનમાં પણ સભ્યોએ આ અંગે ધ્યાન દોર્યુ હતું.
વોર્ડ નં.5માં પેડક રોડના સ્વીમીંગ પુલનું રીનોવેશન કામ 80.54 લાખના ખર્ચે કરવામાં આવશે. તો રેસકોર્સના શ્રી માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં એલઇડી લાઇટ ફીટ કરવા 1.55 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. આ કામની ટેન્ડર પ્રક્રિયામાં ઉંડા ઉતરેલા સભ્યોને એવી માહિતી મળી હતી કે આ ટેન્ડર બાદ બંને કામ માટે આવેલી પૈકી એક-એક એજન્સી કામ માટે ટેકનીકલ લાયક ઠરતી ન હતી.
આમ છતાં આ એજન્સીની પ્રાઇઝ બીડ (ભાવ) ખોલી નાખવામાં આવ્યા હતા. બાદમાં અન્ય એજન્સીના ભાવ પર અભ્યાસના બદલે સીધા ટેન્ડર જ રદ્દ કરી દેવાયા હતા.
હવે નવા ટેન્ડરમાં પ્રથમ ટેન્ડર વખતની લાયક એજન્સી ગેરલાયક ઠરી ગઇ હતી! આમ સમયના બગાડ વચ્ચે કોઇ ત્રીજી એજન્સીને જ લાભ મળી ગયો છે! આ રીતે ટેન્ડર ખોલવામાં બેદરકારી રાખતા અધિકારીઓને ઠપકો આપવા પણ કોર્પોરેટરે સૂચન કર્યુ હતું.