Ahmedabad,તા.29
ચંડોળા ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બંને પક્ષોની રજૂઆતની સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા અરજીને કાઢી હતી અને ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન મીડિયાને મૌખિક રીતે રોકવામાં આવ્યા હતા. કોઇપણ જાહેરત વિના મૌખિક રીતે કવરેજ કરવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી.
18 અરજદારોએ ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આજે પરશુરામ જયંતિ નિમિત્તિ જાહેર રજા હોવા છતાં હાઇકોર્ટની કાર્યવાહી ચાલુ રહી હતી અને 18 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. હાઇકોર્ટના લેખિત હુકમ વિના જ અધિકારીઓએ ક્રાઇમ ડી.સી.પી. અજિત રાજયાન અને સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન.ભૂકણ દ્વારા હાઇકોર્ટના મુખ્ય દરવાજાથી પત્રકારોને રોકી દીધા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરૂદ્ધ ડિમોલિશન થઇ રહ્યું છે. અહીં વસવાટ કરતા લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે અમને કોઇપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી. આ મામલે હાઇકોર્ટે અરજી નકારી કાઢી ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી. જ્યારે સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહીમાં ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથે સંડોવણી સામે આવી છે અને તેમની ધરપકડ કરાઇ છે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે સંપૂર્ણ માહિતી આપી નથી. આ ઉપરાંત મહિલા અને બાળકોને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવતા હોવાની માહિતી સામે છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ડ્રગ્સ, બનાવટી દસ્તાવેજો બનાવવા, મની લોન્ડ્રીંગ સહિતના ગુન્હાઓ થતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
અરજદારના એડવોકેટે જણાવ્યું હતું કે 18 લોકોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે સ્ટે આપવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે. જેથી આગામી સમયમાં અરજદારો તેમના પુનર્વસન માટે અરજી કરી શકે છે. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. જો અરજદારો ગેરકાયદે વસવાટ કરતા હોય તો પણ તેમને 15 દિવસની નોટીસ આપવી જોઇએ. પહલગામના આતંકવાદી હુમલા બાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસે જે લોકોને પકડ્યા હતા તેમાં મોટાભાગના લોકો ભારતીય નીકળ્યા હતા.